Ahmedabad Rath Yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓને ઉનાળા અને ગરમીથી રાહત મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ વિભાગોના સંકલનથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
રથયાત્રા રૂટ પર ભક્તોને આરામદાયક વાતાવરણ મળી રહે તે માટે AMCના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના સ્ટાફ દ્વારા સમયાંતરે રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરી રસ્તાઓને ઠંડા રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ સાથે જ AMCની મિસ્ટ વાન (Mist Van) પણ સમગ્ર રથયાત્રા રૂટ પર સતત કાર્યરત રહી છે. મિસ્ટ વાન દ્વારા પાણીના અત્યંત ઝીણા ફુવારા (Water Mist) છોડીને આસપાસના વાતાવરણનું તાપમાન ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ગરમીથી રાહત મળી રહે અને તેઓ વધુ આરામદાયક રીતે રથયાત્રાના દર્શન કરી શકે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાથે સમગ્ર રથયાત્રા દરમિયાન સતત કામગીરી જાળવી રાખી છે. ખાસ કરીને ફાયર વિભાગ અને મિસ્ટ વાનની ટીમોએ રૂટ પર સતત પેટ્રોલિંગ કરીને જરૂરિયાત મુજબ પાણીનો છંટકાવ કર્યો છે.
ગરમીના માહોલમાં ભક્તોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપતા AMC દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાને કારણે સમગ્ર રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને નોંધપાત્ર રાહત મળી છે.
રથયાત્રા દરમિયાન શહેરમાં ભક્તોની સુવિધા, સલામતી અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો સતત કાર્યરત રહ્યા છે અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું છે.

