Ahmedabad: વસ્ત્રાપુર પોલીસે શહેરના થલતેજ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરેલી બિનવારસી કાર ઝડપી પાડી હતી. જે બાદ દારૂનો જથ્થો લાવનારની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
હકીકતમાં ગત 5 જુલાઈના રોજ વસ્ત્રાપુર પોલીસે થલતેજના જીવનદીપ સર્કલ નજીકથી બિનવારસી કાર મળી આવી હતી. જેની તલાસી લેતા કારમાંથી વિદેશી શરાબની અલગ-અલગ બ્રાન્ડની 313 બોટલ અને 100થી વધુ બિયરના ટીન મળીને કુલ રૂ.2.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટની કલમ હેઠલ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
આ કેસની તપાસ દરમિયાન પોલીસે 8 જુલાઈના રોજ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ચિરાગ ચૌધરી (ઉં.વ. 26, રહે. નારણપુરા)ની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન પોતે આ દારૂ અમદાવાદ પોલીસના હાઈટેક કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અશોક પટેલ (37)ના કહેવાથી રાજસ્થાનથી લાવ્યો હોવાનું જણાવ્યું હતુ.
જે કારમાંથી દારૂ મળી આવ્યો, તે કાર પણ કોન્સ્ટેબલ અશોક પટેલના નામે રજિસ્ટર્ડ થઈ હોવાનું અને તેના કહેવાથી જ જીવનદીપ સર્કલ ખાતે મૂકી હોવાનું જણાવ્યું હતુ. જે બાદ વસ્ત્રાપુર પોલીસે અશોક પટેલની પણ ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
