Telemedicine Service: અટલ કલામ ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતના પછાત વિસ્તારોમાં નિષ્ણાંત તબીબી સેવા પહોંચાડવાના હેતુથી ટેલિમેડિસિન સેમિનાર યોજાયો હતો. ઈસરો અને ટેલિમેડિસિન સોસાયટી ઓફ ઈન્ડિયાના સહયોગથી એક વર્ષમાં જ રાજ્યનાં 10 ગામને દતક લઈને આધુનિક ટેલિમેડિસિન સુવિધા શરુ કરવાની યોજના જાહેર કરવામાં આવેલ છે.અમદાવાદ ખાતે મુખ્ય કમાન્ડ સેન્ટરથી તમામ કેન્દ્રોનું સંચાલન કરાશે.
સારવાર ખર્ચમાં દર્દીઓને રાહત
આ પ્રોજેક્ટ હેઠળ સેટેલાઈટ નેટવર્કથી દર્દીઓનાં બ્લડ પ્રેશર, ઈસીજી જેવાં મહત્વપૂર્ણ રિપોર્ટ્સ અમદાવાદના એક્સપર્ટ સુધી પહોંચશે. તેથી રાજ્યના પછાત વિસ્તારોના પેશન્ટ્સને અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવાનું ઘટશે. તેમજ સારવારના ખર્ચમાં દર્દીઓને રાહત રહેશે.
ગોલ્ડન અવર દરમિયાન તાત્કાલિક એક્સપર્ટની મદદ મળવાથી દર્દીઓના ગંભીર કેસોમાં જીવ બચવાની શક્યતાઓ વધશે. ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે નિષ્ણાંત તબીબોની મોટી સમસ્યા છે. ટેલિમેડિસિન આ ખામીને પૂર્ણ કરીને સ્પેશિયાલિસ્ટ સેવાં ડાયરેક્ટ ગામડા સુધી પહોચાડે છે.
બાળ મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો
ટેલિમેડિસિન સોસાયટી ઓફ ઈન્ડિયાના ટ્રેઝરર ડો. વિવેક દવેના જણાવ્યા અનુસાર અમદાવાદથી હાલ હૈદરાબાદ, તેલંગાણાના તબીબોની અછત હોય તેવાં ગામડામાં સેવાઓ અપાઈ રહી છે. ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજીને ડર્મેટોલોજીસ્ટ સહિતની ટીમ દર્દીઓનું ડિજિટલ નિદાન કરે છે.
આ પહેલથી બાળ મૃત્યુદરમાં ઘટાડો થયેલ જોવા મળ્યો છે. પ્રેગનન્ટ મહિલાઓમાં એનિમિયા જેવી સમસ્યાઓમાં સમયસર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. હવે આ મોડેલ ગુજરાતમાં અમલમાં મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે.
