Ahmedahad: પૃથ્વીને અનેકવિધ શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરી સમગ્ર માનવજાત પર મહેર કરનાર એવા પરમાત્મા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ વિશિષ્ટ ઉત્સવની પ્રતિ વર્ષ અનેરા ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક તમામ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
આજે 2 નવેમ્બર, 2025ના રોજ ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદમાં બી.એ.પી.એસ. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં 80 કરતાં વધુ પ્રકારના શાકભાજી અને 20 કરતાં વધુ પ્રકારના ફળોની હાટડીના દર્શન કર્યા હતાં અને સાંજે વિશિષ્ટ આરતીનો લાભ લીધો હતો.
