Ahmedabad Subhash Bridge Demolition: અમદાવાદની મધ્યમાંથી વહેતી સાબરમતી નદી ઉપર વાડજ અને શાહીબાગને જોડતા વર્ષો જૂના જર્જરિત થઈ ગયેલા સુભાષ બ્રિજને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જેમાં એક્સપર્ટના અભિપ્રાયના અંતે જૂના બ્રિજને આખો તોડીને નવેસરથી બનાવવાની વિચારણા કરવામાં આવી છે.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, IIT રૂડકી,IIT ગાંધીનગર, મહેશ ટંડન જેવા નિષ્ણાંતો તેમજ અન્ય અનુભવી બ્રિજ એક્સપર્ટ્સ દ્વારા સુભાષ બ્રિજની વિગતવાર ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ નિષ્ણાંતોના અભ્યાસ અને રિપોર્ટ અનુસાર, બ્રિજનું હાલનું સબસ્ટ્રક્ચર અને પીયર્સ આશરે 53 વર્ષ જૂના થઈ ચૂક્યા છે.
નિષ્ણાંતોએ પોતાના અભિપ્રાયમાં સ્પષ્ટ કર્યું છે કે, જો નવા સુપરસ્ટ્રક્ચરનું નિર્માણ હાલના જૂના સબસ્ટ્રક્ચર અને પીયર્સ પર કરવામાં આવે તો ભવિષ્યમાં 100 વર્ષની ડિઝાઇન લાઇફને ધ્યાનમાં રાખીને કેટલીક ટેકનિકલ મર્યાદાઓ અને પડકારો ઉભા થઈ શકે છે.
આથી તમામ નિષ્ણાતો દ્વારા સર્વસંમતિથી એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે કે, હાલના જૂના પીયર્સ અને સુપરસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરીને તેના સ્થાને નવું માળખું ઊભું કરવામાં આવે તો લાંબા ગાળે વધુ સુરક્ષિત, ટકાઉ અને અસરકારક ઉકેલ મળી શકશે.
વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, નિષ્ણાંતોના આ અભિપ્રાયના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં બંને વિકલ્પો વચ્ચેના ખર્ચના તફાવત, કામગીરી પૂર્ણ થવામાં લાગનારી સમયમર્યાદા, સમગ્ર પ્રોજેક્ટની આયુષ્ય અને અન્ય ટેકનિકલ મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ (R&B) વિભાગ દ્વારા પણ નવા ડિઝાઇનની ચકાસણી અને જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સુભાષ બ્રિજના પુનઃનિર્માણનું કાર્ય શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થાય અને શહેરને લાંબા ગાળાનો સુરક્ષિત તથા આધુનિક બ્રિજ મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ સ્તરે ત્વરિત કામગીરી કરી રહ્યું છે. આગામી દિવસોમાં ટેકનિકલ અભ્યાસ અને વિવિધ વિશ્લેષણ પૂર્ણ થયા બાદ આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ડિસેમ્બર-2025થી સુભાષબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ
શાહીબાગ, સાબરમતી, માધુપુરા,સાબરમતી અને રાણીપ રહેતા નાગરિકોની સરળતા માટે 1973માં સાબરમતી નદી પર સુભાષબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. જો કે ડિસેમ્બર-2025માં આ 52 વર્ષ જૂના બ્રિજ પર તિરાડ દેખાતા તેને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના પરિણામે આ બ્રિજ પરથી પસાર થતાં દૈનિક 1 લાખથી વધુ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
