Ahmedabad News: અમદાવાદના સાણંદમાં આવેલા સનાથલમાં એક યુવકની હત્યાની ઘટના બની છે. સનાથલ ગામમાં લગ્ન બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે સનાથલ ગામમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે.
યુવક પર ઘાતકી હુમલો
મળતી માહિતી મુજબ, સનાથલ ગામમાં બે દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં એક યુવક સાથે કેટલાક ઈસમોએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. તે સમયે એક ઈસમે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેથી આ અદાવતમાં સામા પક્ષે પિતા સહિત બે પુત્રોએ યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરી દીધો હતો. આરોપીઓએ યુવકના શરીર પર જીવલેણ ઘા ઝીંકી દિધા હતા.
આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી
ઘાતકી હુમલામાં યુવકનું મોત નિપજ્યું હતું. હત્યાની જાણ થતા જ ચાંગોદર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે આરોપી પિતા અને બે પુત્રો વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે. નજીવી બાબતે યુવકને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં 'કાયદાનો ડર ન રહ્યો' હોવાનું સામે આવ્યું છે.
