Ahmedabad: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના માંડલમાં આવેલી રામાનંદ આઈ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને અંધાપાની ફરિયાદ ઉઠ્યા બાદ સરકારે સખ્ત વલણ અપનાવ્યું છે. જેમાં આ સમગ્ર મુદ્દે તપાસ માટે નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે. જેની તપાસના અંતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે અમદાવાદની એમ.એન્ડ જે આંખની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અસરગ્રસ્ત દર્દીઓને રૂબરૂ મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. જ્યાં તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, માંડલમાં બનેલ આ ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે 16મી જાન્યુઆરીના રોજ 9 નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના સભ્યોએ સ્થળ પર જઇને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જો કમિટીના રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે, તો કડકમાં કડક ઉદાહરણરૂપ કાર્યવાહી કરાશે.
માંડલની રામાનંદ હોસ્પિટલમાં બનેલ ઘટનાની ગંભીરતાને જોતા મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરુરી સુવિધાઓનું મોનીટરિંગ કરવા સૂચના આપી છે. આ સાથે જ મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલ્સમાં જરૂરી ચેક-લિસ્ટ માટેની ગાઈડલાઈન બનાવવા પણ આદેશ કર્યાં છે. જ્યારે અત્યારે માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંધ કરવાની કડક સૂચના આપી દેવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
