Ahmedabad: પોસ્ટ વિભાગ એ દેશના સૌથી જૂના વિભાગોમાંનું એક છે જે દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 1 ઓક્ટોબર, 1854ના રોજ સ્થપાયેલ ભારતીય પોસ્ટ વિભાગ તેની 170 વર્ષની સફરમાં અનેક ઐતિહાસિક અને સામાજિક-આર્થિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ઉપરોક્ત નિવેદન ભારતીય પોસ્ટ વિભાગ ના સ્થાપના દિને અમદાવાદ જી.પી.ઓ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ વ્યક્ત કર્યું હતું.
આ અવસરે આયોજિત ડાક ચૌપાલમાં, લોકોને પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ, ધારાસભ્ય દરિયાપુર કૌશિકભાઈ જૈન, ડાક નિદેશક મીતા કે. શાહ, મુખ્ય પોસ્ટમાસ્ટર ગોવિંદ શર્મા, અને એજીએમ આઈપીપીબી ડૉ. રાજીવ અવસ્થીએ સાથે મળીને બચત બેંક, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સમ્માન બચત પત્ર, ડાક જીવન વીમા, અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની પાસબુક, બોન્ડ અને કાર્ડનું વિતરણ કર્યું. જી.પી.ઓમાં રક્તદાન કેમ્પના મારફતે રક્ત દાનને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. કેક કાપીને 'હેપ્પી બર્થડે ટુ ઈન્ડિયા પોસ્ટ' ગીત પણ ગવાયું.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પોસ્ટ વિભાગ હવે માત્ર પત્રો, પાર્સલ અને મની ઓર્ડર પૂરતો મર્યાદિત નથી, પરંતુ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયની સાથે તમામ સેવાઓ એક છત નીચે ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. પોસ્ટ ઓફિસમાં બચત બેંક, ડાક જીવન વીમો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ, કોમન સર્વિસ સેન્ટર, ડાકઘર નિર્યાત કેન્દ્ર જેવા ઘણા જનસેવાના કાર્યો કરવામાં આવે છે. 'ડાકિયા ડાક લાયા' થી 'ડાકિયા બેંક લાયા' સુધીની સફરમાં ડાક સેવાઓએ ઘણા નવા આયામો સર્જ્યા છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જી.આઈ., અને એમએસએમઈના ઉત્પાદનો વિદેશોમાં પહોંચી રહ્યા છે, જે 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પનાને મજબૂત કરે છે.
દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈને જણાવ્યું કે, પોસ્ટ ઓફિસ આપણા સૌની યાદો સાથે જોડાયેલી છે. PM મોદીના નેતૃત્વમાં ડાક સેવાઓમાં ઘણા ફેરફારો થયા છે. આજે દૂરના વિસ્તારોમાં પણ પોસ્ટ ઓફિસો બેંકની ભૂમિકા ભજવી રહી છે.
નિદેશક ડાક સેવા મીતા કે. શાહે સ્થાનિકથી લઈને વૈશ્વિક બજારો સુધી પહોંચવામાં પોસ્ટલ નેટવર્કની સુગમતા અને કાર્યક્ષમતા વિશે માહિતી આપી. તેઓએ જણાવ્યું કે, ઈ-કોમર્સ ઉત્પાદનો માટે કેશ ઑન ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ છે.
