Ahmedabad: પોતાના એક દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વિવિધ વિકાસલક્ષી યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતુ. જે અંતર્ગત PM મોદીએ વાવ-થરાદ ખાતેથી અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.
વડાપ્રધાન મોદી વાવ-થરાદ ખાતેથી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા, જ્યાંથી તેમણે રૂ. 5800 કરોડના ખર્ચે તૈયાર થયેલ ધોલેરા એક્સપ્રેસ વેનું ઈ-લોકાર્પણ કર્યું હતુ. આ આધુનિક માર્ગ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે.
અમદાવાદ ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે
109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8)નું લોકાર્પણ થતાં જ ગુજરાતના અવિરત વિકાસમાં એક નવું સીમાચિન્હ પણ સ્થાપિત થઈ ગયુ છે. આ અત્યાધુનિક હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે.
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે પર 11 ઇન્ટરચેન્જ, 14 ફ્લાયઓવર, 86 અન્ડરપાસ અને આધુનિક વે-સાઈડ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ હાઈવે સીધો ધોલેરા સ્માર્ટ સિટી અને એરપોર્ટ સાથે જોડાણ ધરાવે છે.
તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે માટે 8 લેન સુધી વિસ્તરણની ક્ષમતા રાખવામાં આવી છે. આ એક્સપ્રેસ-વે ધોલેરા SIR અને આગામી ઇન્ટરનેશનલ એરપોર્ટને સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે, જે લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની સાથે સમગ્ર રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ અને વેગ આપશે.
