Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાયેલી 21 વર્ષીય વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
રાણીપમાં રહેતી મહેશ્વરી એલ.ડી. આર્ટ્સ કોલેજના થર્ડ યરમાં હતી
મૂળ બોટાદની વતની મહેશ્વરી ખાચર (21) હાલ અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી હતી અને એલ.ડી. આર્ટ્સ કોલેજના થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી.
હાલ NSS કેમ્પ ચાલતો હોવાથી મહેશ્વરી NRI હોસ્ટેલની સામે આવેલ યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. NSS કેમ્પમાં સીનિયર વોલેન્ટિયર મહેશ્વરી આજે સવારથી યુનિવર્સિટીના કાર્યક્રમાં ઉપસ્થિત રહી હતી.
અન્ય વિદ્યાર્થિની બોલાવવા જતાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ
મૃતક વિદ્યાર્થિની યુનિવર્સિટીના શ્યામા પ્રસાદ મુખરજી હોલથી બપોરે સાડા 3 વાગ્યાની આસપાસ નીકળી ગઈ હતી. જો કે લાંબા સમય સુધી પરત ના ફરતા પ્રોફેસરે અન્ય વિદ્યાર્થિનીનીને રૂમમાં બોલાવવા માટે મોકલી હતી.
આથી ગેસ્ટ હાઉસમાં પહોંચીને મિત્રએ જોતા મહેશ્વરીની બારીના એંગલ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી જોવા મળી હતી. જે બાદ પ્રોફેસરો, અન્ય વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા. આ બાબતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને યુનિવર્સિટી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
હજુ સુધી વિદ્યાર્થિનીએ ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. હાલ તો FSLની ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ મૃતકના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ કરવા સહિત આગળની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
