Iscon Bridge Accident: આજથી અઢી વર્ષ પૂર્વે અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર નબીરા તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હાઈકોર્ટે તથ્ય પટેલ અને તેના પિતાને સાપરાધ માનવ વધની કલમમાંથી મુક્તિ આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.
હકીકતમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા અકસ્માત કેસમાં દાખલ કરવામાં આવેલ સાપરાધ મનુષ્યવધની કલમમાંથી ડિસ્ચાર્જ મેળવવા માટે રિવિઝન અરજી કરી હતી. જેના પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલ સામે લગાવવામાં આવેલી IPCની કલમ 304 અને 308ને દૂર કરવાનો ઈન્કાર કર્યો છે. આ કલમની જોગવાઈ હેઠળ તથ્ય પટેલને 10 વર્ષની કેદ થઈ શકે છે. જ્યારે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને સાપરાધ મનુષ્યવધની કલમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
ગત 23 જુલાઈ, 2023ના રોજ તથ્ય પટેલે પોતાની જેગુઆર કાર પુરપાટ હંકારીને ઈસ્કોન બ્રિજ ઉપર ટોળાને કચડી નાંખ્યું હતુ. જેમાં 9 નિર્દોષ યુવકોના મોત નીપજ્યા હતા. થોડા દિવસ અગાઉ દેશની સર્વોચ્ચ અદાલતે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવાનો હુકમ કર્યો હતો. જેના પગલે 18 નવેમ્બરના રોજ તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો. હાલ આ કેસમાં ટ્રાયલ ચાલી રહી છે.
