Ahmedabad: પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને મોટો ફટકો પડ્યો છે. હકીકતમાં EDની સ્પેશિયલ કોર્ટે પ્રદીપ શર્માને મની લોન્ડરિંગના કેસમાં દોષી ઠેરવીને 5 વર્ષની સજા ફટકારી છે. પ્રદીપ શર્મા પર પહેલાથી અનેક કેસ ચાલી રહ્યા છે. એવામાં હવે કોર્ટના આ નવા ચુકાદાએ તેમની મુશ્કેલી વધારી દીધી છે.
અમદાવાદની સ્પેશિયલ ED કોર્ટે કચ્છ જિલ્લાના ભુજમાં ગેરકાયદેસર જમીન ફાળવવીના કેસમાં નિવૃત IAS અધિકારી પ્રદીપ શર્માને દોષી ઠેરવ્યા છે. કોર્ટે ભુજમાં એક કંપનીને ગેરકાયદેસર રીતે જમીન ફાળવવી કેસમાં મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત પ્રદીપ શર્માને દોષિત ઠેરવીને તેમને 5 વર્ષની સજાનું એલાન કર્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ IAS અધિકારી સાથે સંકળાયેલી રૂ. 6 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. મની લોન્ડરિંગનો આ કેસ ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ (ભુજ) દ્વારા પ્રદીપ શર્મા અને સંજય શાહ નામના વ્યક્તિ ઉપરાંત અન્ય કેટલાક વિરુદ્ધ ઠગાઈના આરોપ હેઠળ નોંધાયેલી FIR સાથે સંકળાયેલો છો. આ વર્ષની શરુઆતમાં કચ્છ કોર્ટે પણ જમીન ફાળવણી સાથે સંકળાયેલા એક કેસમાં પ્રદીપ શર્માને 5 વર્ષની સજા ફટકારી હતી.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યા પ્રમાણે, હાલમાં પ્રદીપ શર્મા જે કેસમાં સજા કાપી રહ્યા છે, તેનાથી અલગ આ 5 વર્ષની સજા તેમણે ભોગવવાની રહેશે. આટલું જ નહીં, તેમની ટાંચમાં લીધેલી સંપત્તિ પણ સરકારના હસ્તક જ રહેશે.
જણાવી દઈએ કે, જ્યારે પ્રદિપ શર્મા કચ્છ જિલ્લાના કલેક્ટર હતા, ત્યારે તેમણે નિયમો નેવે મૂકીને વેલસ્પન ગ્રુપની કંપનીઓને સસ્તા ભાવે જમીન આપી હતી. જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતુ. આટલું જ નહીં, આ ગેરરીતિ દ્વારા મેળવેલા કરોડો રૂપિયા પ્રદીપ શર્માએ અમેરિકામાં રહેતા સંતાનોના ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતા.
