Ahmedabad News: અમદાવાદના નિકોલમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગનો બનાવ બન્યો છે. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ જાન અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહી હતી ત્યારે નડિયાદ પાસે વર-કન્યા સહિત 45 જેટલા જાનૈયાઓને એકાએક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને વોમિટિંગ થઇ હતી. જેથી તમામને સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કન્યા પક્ષના પાંચ લોકોને અમદાવાદની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના નિકોલ વિસ્તારમાં નર્મદા જિલ્લાના નાંદોદના રાજપીપળાથી જાન આવી હતી. વિશાલા લેન્ડમાર્ક ખાતે આવેલી હોટલમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જમણવારમાં દૂધની બનાવટનો જ્યૂસ અને ગાજરનો હવલો વેલકમ ડ્રિંક સાથે પીરસવામાં આવ્યો હતો. જાનૈયાઓએ રાત્રે ભોજન લીધું હતું અને મોડી રાત્રે જાનને વિદાય આપવામાં આવી હતી.
જાન નિકોલથી રાજપીપળા તરફ જઇ રહી હતી ત્યારે નડિયાદ નજીક જાનૈયાઓએ અસ્વસ્થતા અનુભવી હતી. વર-કન્યા સહિત જાનૈયાઓને એકાએક ઝાડા- ઉલટી થવા લાગી હતી. જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાથી વોમિટિંગ થઇ રહી હતી. તમામને તાત્કાલિક નડિયાદની હોસ્પિટલ ખેસડાયા હતા. જ્યારે બે પુરુષ અને ત્રણ મહિલાઓને મણિનગરની એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
