Ahmedabad: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ભાડૂઆત જે ઘરમાં ભાડે રહેતો હતો, તે પચાવી પાડ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મકાન માલિકે ઘર ખાલી કરવાનું કહેતા ભાડૂઆતે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આખરે મકાન માલિક મહિલાએ ભાડૂઆત વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અત્યારે શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા જ્યોત્સનાબેન ઠાકરનું એક મકાન નારણપુરાના પારસનગરમાં આવેલું છે. જે મકાન તેમણે વિનોદ ગજાનંદ શર્મા નામના વ્યક્તિને ભાડેથી રહેવા માટે આપ્યું હતુ.
જો કે છેલ્લા ચારેક વર્ષથી જ્યોત્સનાબેનને સાસરીમાં તકલીફ થતાં તેઓ કાયમ માટે પારસનગર સ્થિત મકાનમાં રહેવા જવા માંગતા હતા. આથી તેમણે વિનોદ શર્માને પોતાનું મકાન ખાલી કરવા માટે અવારનવાર જાણ કરી હોવા છતાં તે મકાન ખાલી નહતો કરતો. આટલું જ નહીં, વિનોદ શર્માએ ભાડાનું મકાન ખાલી કરવા માટે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
આ મામલે જ્યોત્સનાબેન ઠાકરે ઘાટલોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાડૂઆત વિનોદ શર્મા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
