Ahmedabad: અમદાવાદના સરદાર રાષ્ટ્રીય સ્મારક ખાતે આશીર્વાદ ફાઈન્ડેશન દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજના યુગમાં બધાની દોટ પૈસા અને સ્વાર્થ માટે છે, ત્યારે સામેના દરેક વ્યક્તિમાં, દરેક જીવમાં શિવ જોઈને સેવા કરનારાઓનું સન્માન કરાયું છે. આજનો કાર્યક્રમ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.
સનાતન સંસ્કૃતિમાં સેવા પરમો ધર્મ કહેવાય છે, આ મંત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજના અંતિમ પંક્તિમાં રહેલા લોકના કલ્યાણભાવ સાથે જનજનમાં વિસ્તાર્યો છે. આજે સન્માનિત સૌ પણ આ ભાવને સમર્પિત છે, એટલે અભિનંદનને પાત્ર છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્વથી ઉપર ઊઠીને સર્વનો વિચાર કરનારા જ માનવજાતની સાચી સેવા કરે છે. સાચી સંપત્તિ પદ, પૈસો કે પ્રતિષ્ઠામાં નહીં, પરંતુ સામાજિક યોગદાનમાં રહે છે. નિઃસ્વાર્થ સેવા જ માનવ સભ્યતાની બુનિયાદ છે.
શિક્ષણ, આરોગ્ય અને જનજાગૃતિ માટે કાર્યરત આશીર્વાદ ફાઉન્ડેશનની વિધ વિધ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદીએ શરૂ કરાવેલી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આ સંસ્થાએ મહિલા આરોગ્ય અભિયાન સાથે જોડીને બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ તથા નિદાન-તપાસ ક્ષેત્રે ઉમદા કામગીરી કરી છે. આ કદાચ એવી પહેલી સંસ્થા છે, જેણે ફિટનેસને દાન તરીકે સ્વીકારી છે. આ નવતર અભિગમ પ્રેરણારૂપ છે.
સરકાર કલ્યાણ યોજનાઓ બનાવે અને નીતિઓને અમલમાં મૂકે. આ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ અને છેવાડેના લોકો સુધી પહોંચે એ માટે સેવા સંસ્થાઓ પણ સરકાર સાથે ખભે ખભો મિલાવીને કામ કરે તો વધારે સફળતા મળી શકે છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે હંમેશાં સેવા, સંવેદના સાથે આપદ ધર્મ નિભાવવાની સહકાર પરંપરા જાળવી છે. ધરતીકંપ, કોરોના, પૂર, વાવાઝોડા… કોઈ પણ સંકટમાં ગુજરાત અને ગુજરાતીઓ હંમેશાં આપત્તિગ્રસ્તોની સેવા માટે ખડેપગે રહે છે.
વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સંકલ્પને યાદ કરીને મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું કે સરકારની સાથે સાથે સંસ્થાઓ, સેવાવ્રતીઓ અને સમાજ સૌ સાથે મળીને સમરસ, સંવેદનશીલ અને સમૃદ્ધ ગુજરાત થકી સમૃદ્ધ-વિકસિત ભારત બનાવીએ.
આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ આર. એસ. પટેલે સ્વાગત પ્રવચન કરીને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. ઓડિશાના પૂર્વ ચીફ જસ્ટિસ અને એવોર્ડ પસંદગી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ કલ્પેશભાઈ ઝવેરી તથા ગુજરાતી સાહિત્ય અકાદમીના વડા તથા પસંદગી સમિતિના સભ્ય શ્રી ભાગ્યેશભાઈ ઝાએ પ્રાસંગિત ઉદબોધન કરીને સન્માનિતોને શુભેચ્છા પાઠવી હતી.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અપાતા ધરતીરત્ન એવોર્ડની દસમી આવૃત્તિમાં ત્રણ સંસ્થાઓ અને નવ સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાકીય એવોર્ડ ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, સેવા રૂરલ, ઝઘડિયા તથા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલાને અપાયા હતા.
