Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને બુધવારે રાત્રે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં બિરાજમાન પ્રભુ રામચંદ્રજીના દર્શન માટે અમદાવાદના 1400 જેટલા શ્રદ્ધાળુઓ આસ્થા સ્પેશ્યલ ટ્રેન દ્વારા પહોંચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા, પ્રભુ રામચંદ્રજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રમલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના 1400 જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા રામ લલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશ્યલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરાવી હતી. આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો.

સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો. સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યઓ, પ્રભારી સંજય પટેલ, સહ કોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ તેમજ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.