Ahmedabad News: આડાસંબંધોનું ઘણું જ કરુણ પરિણામ આવતું હોય છે. જેમાં ઘણીવાર હત્યા સુધીની ઘટનાઓ પણ બની જાય છે. અમદાવાદના ઝુંડાલમાં આડાસંબંધોમાં એક યુવકની હત્યાનો ચકચારીભર્યો બનાવ સામે આવ્યો છે. જેમાં માસી સાથે 5 વર્ષથી આડા સંબંધ ધરાવતા યુવકને ભાણિયાએ જ ચાકુના 7થી 8 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેનો મૃતદેહ ઝુંડાલ સ્થિત એક હોટેલ પાસે મળી આવ્યો હતો.
આડાસંબંધમાં યુવકની હત્યાની ઘટના
મળતી વિગતો મુજબ, યુવકે મુંબઈની મહિલાને 2 મહિનાથી એક ફલેટ ભાડે અપાવ્યો હતો. જેમાં યુવક મહિલાના ઘરે 2 દિવસ પહેલા આવ્યો હતો. જ્યાં મહિલાનો ભાણિયો પણ હાજર હતો. બંને વચ્ચે ઝઘડો થતા ભાણિયાએ યુવકને છરીના બે ઘા ઝીંકી દીધા હતા. જે બાદ યુવક ભાગવા જતા પકડીને ઝુંડાલમાં આવેલી સર્વોત્તમ હોટેલ પાસે એક સિમેન્ટ ફેક્ટરીની દિવાલ પાસે તેજ ધારદાર હથિયારનો ઘા મારી યુવકને પતાવી દેવાયો હતો. બનાવની જાણ થતા જ ચાંદખેડા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ભાણિયાએ યુવકની હત્યા કરી નાખી
પોલીસે મૃતક યુવકના પરિવારની શોધખોળ કરી હતી. ત્યારે મૃતક યુવકની પત્ની અજીતકૌરે યુવક જસમતસિંગ ઉર્ફે પીકલુસિંગ છોટુસિંગ સીખલીગરની ઓળખાણ કરી હતી. મૃતક યુવકની પત્નીના જણાવ્યા મુજબ, મૃતક યુવક પત્ની સાથે પેથાપુરમાં રહેતો હતો. તેમજ તે ડુક્કર પકડવાનુ કામ કરતો હતો. પત્નીના જણાવા મુજબ, મૃતક યુવકને મુંબઈની મહિલા સાથે આડા સંબંધ હતા. જેમાં તેના પતિએ મહિલાને 2 મહિના પહેલા જ ફલેટ ભાડે અપાવ્યો હતો. જે 12 મેના રોજ ઘરેથી બાઈક લઈને નીકળ્યો પરંતુ પાછો ફર્યો નહોતો.
આરોપી વિરુદ્ધ ગુનો દાખલ
પોલીસે પ્રેમિકાની અટકાયત કરીને સઘન પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, યુવક જસમતસિંગની હત્યા તેની બહેનના દિકરા માનસિંગે ઉર્ફે બાદલ સિંગ ટાંક અને સુરજીત ઉર્ફે ટેટો કાબુસિંગ ટાંકે કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી માનસિંગ મુંબઈમાં એક રિક્ષાચાલકની હત્યા કરીના ગુનામાં જેલમાં ગયો હતો. તેમજ તે થાણે જેલમાં બંધ હતો. હાલ તે જામીન પર છૂટીને બહાર આવ્યો છે.
