Ahmedabad, New Delhi: BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુ મહંતસ્વામી મહારાજનું ગુરુવાર સાંજે નવી દિલ્લી સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરે આગમન થયું. તેમના સ્વાગત માટે સમગ્ર મંદિર પરિસરને ફૂલો અને તોરણોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું, જ્યાં હજારોની સંખ્યામાં હાજર ભક્તોએ હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યું.
BAPS હિંદુ મંદિર (આબુધાબી) અને (ન્યુજર્સી) રોબિન્સવિલ અક્ષરધામ જેવા ભવ્ય મંદિરોના નિર્માતા મહંતસ્વામી મહારાજ 19 માર્ચથી 02 એપ્રિલ સુધી દિલ્લી અક્ષરધામ મંદિરમાં નિવાસ કરશે.
તેમના નિવાસ દરમિયાન મંદિરમાં વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં મુખ્યત્વે 26 માર્ચે ભગવાન સ્વામિનારાયણના કિશોર યોગીસ્વરૂપ નીલકંઠવર્ણી મહારાજની 108 ફૂટ ઊંચી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પણ યોજાનાર છે.
ખાસ વાત એ છે કે, આ દિવસોમાં પંચકુલા, કુરુક્ષેત્ર અને પેરિસ સ્થિત મંદિરોની મૂર્તિઓનું પૂજન તથા પ્રાણપ્રતિષ્ઠા વિધિ પણ દિલ્હી અક્ષરધામ મંદિરમાં યોજાશે. આ ઉપરાંત બાળકો અને યુવાનો માટે બાળ દિવસ, યુવા દિવસ, મહાયજ્ઞ, BAPS સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા આધ્યાત્મિક પ્રવચનો, મહંતસ્વામી મહારાજના પ્રાતઃ પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ પણ મળશે.
જણવી દઈએ કે, મહંતસ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ અને વર્તમાન આધ્યાત્મિક ગુરુ છે. BAPS-એક વૈશ્વિક સામાજિક-આધ્યાત્મિક સંસ્થા છે, જે માનવીય મૂલ્યો, પારિવારિક એકતા અને સાંસ્કૃતિક સંરક્ષણ માટે સતત કાર્યરત છે.
