Ahmedabad News: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 1 સપ્ટેમ્બરથી રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે નરોડા, ચાંદખેડા, ભાડજ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ઢોર પકડવાની કામગીરી કરાઈ હતી. સાત ઝોનમાં કુલ 266 પશુઓ પકડ્યા હતા. જેમાંથી સૌથી વધુ 102 ઢોર દક્ષિણ ઝોનમાંથી પકડાયા છે. આ ઉપરાંત કામમાં અવરોધ ઉભો કરનાર એક શખ્સ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આજે આ વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી કરાઈ
શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023ના અમલવારી અન્વયે શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારો અનિલસ્ટાર્ચ, ભીડભંજન, વિજયપાર્ક, નરોડા, કાપડીવાડ, થાલતેલ, દોલતખાના, ખાડીયા, ઓઢવ,નિકોલ, ચાંદખેડા, સાબરમતી, સરખેજ, મલાવતળાવ, મકરબા,બાલિયાદેવ નો ટેકરો,રાણીપ, ભાર્ગવરોડ, બેહરામપુરા, ગોવિંદવાડી, ઇસનપુર, ભાઇપુરા, અખબારનગર,સરદારનગર, મેઘાણીનગર, વિરાટનગર, ચૈનપુર, રાણીપ ગાયત્રીનગર,ભાડજ, એસઆરપી કેમ્પ, મણીનગર, વસ્ત્રાપુર, રામાપીરનો ટેકરો, કોટનીરંગ, ઇશ્વરનગર, સરસપુર,હાથીજણ, ઘાટલોડીયા, અમરાઇવાડી, ખોખરા, હીરાવાડી, ઇદગાહસર્કલ,ઉજાલાસર્કલ તથા મોટેરા આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલા પશુઓ પકડવામાં આવ્યા છે.
કયા ઝોનમાં કેટલા પશુ પકડવામાં આવ્યા
| ઝોન | પકડયેલા પશુઓ | ઘાસચારાનો જથ્થો(કિ.ગ્રા) |
| ઉત્તર | 33 | 1020 |
| દક્ષિણ | 102 | 530 |
| પૂર્વ | 33 | 2000 |
| પશ્ચિમ | 21 | 1235 |
| મધ્ય | 51 | 110 |
| ઉત્તર-પશ્ચિમ | 17 | 340 |
| દક્ષિણ- પશ્ચિમ | 9 | 1455 |
| કુલ | 266 | 6690 |
ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ બદલ ફરિયાદ
આજરોજ પૂર્વઝોન નિકોલગામ તળાવ સુરભી રેસીડેન્સી વિસ્તારમાં રખડતા પશુ પકડવાની સરકારી કામગીરીમાં જશુભાઇ વાલાભાઇ ભરવાડ દ્વારા રૂકાવટ ઉભી કરવામાં આવી હતી. બોલાચાલી કરી,ગાળો બોલી અવરોધ ઉભો કરવા બદલ ફરજ પરના સ્ટાફ દ્વારા તેમની વિરુધ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગેરવર્તણુંક કરનાર એકને સસ્પેન્ડ કરાયો
આજરોજ દક્ષિણઝોન અને મધ્યઝોન દ્વારા સંયુક્ત કામગીરી ચાલુ રહી હતી.અને એમાં એક કાયમી મજુર દ્વારા ગેરવર્તણુંક કરવામાં આવી હતી.તે બદલ તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તથા આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.
સીએનસીડી વિભાગ દ્વારા પશુપાલકોને જણાવવામાં આવ્યું છેકે, જો પશુઓને રાખવા માટે આપની પાસે પુરતી જગ્યા ન હોય અને જાહેર રસ્તા તેમજ ગલીઓમાં જો પશુઓ બાંધવામાં આવતા હોય તો આપ આવા પશુઓને તાત્કાલિક ધોરણથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શહેરી હદથી બહાર ખસેડી લેવાની કાર્યવાહી કરવામાં આવે અન્યથા આગામી દિવસોમાં આવા પશુઓને પકડીને ઢોર ડબ્બે પુરવાની કામગીરી ઝુંબેશ ના ભાગ રૂપે ચાલુ રાખવામાં આવશે.
