Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી રત્નમણી સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું. આ જુગારધામ પર પીસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને 11 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પીસીબીએ સ્થળ પરથી કુલ 18.59 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ પીસીબીને બાતમી મળી હતી કે, વસ્ત્રાપુરમાં આવેલા રત્નમણી ફ્લેટમાં રહેણાંક મકાનમાં જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પીસીબી દ્વારા રત્નમણી ઇ 12 ફ્લેટમાં દરોડો પાડ્યો હતો અને જુગારધામ પકડી પાડ્યું હતું. રત્નમણી ઇ-13ના ફલેટ માલિક મુકેશ પટેલ દ્વારા પોતાના રહેણાંક ફ્લેટમાં બહારથી ગ્રાહકો બોલાવીને જુગાર રમાડવામાં આવી રહ્યો હતો.
દરોડા દરમિયાન ફ્લેટમાંથી 11 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ 5.52 લાખ રૂપિયા જે દાવ પર લાગ્યા હતા. એ ઉપરાંત 8.34 લાખ રૂપિયા, 11 મોબાઈલ ફોન જેની કુલ કિંમત 3.73 લાખ તથા બે ટુ વ્હીલર મળી કુલ 18,59,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પીસીબી દ્વારા બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
