Ahmedabad: આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC)ની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ શહેરનાં વિકાસને લગતાં મહત્વનાં મુદ્દાઓને મીડિયા સમક્ષ રજૂ કર્યાં હતાં. આ તકે તેમણે 2030માં અમદાવાદમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને લઈને પણ વિગતો આપી હતી.
આ અંગે વિગતો આપતા AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે અમદાવાદ વૈશ્વિક ઓળખ પામી ચૂક્યું છે.
અમદાવાદ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ચૂક્યું છે. જેમાં 2030ની અંદર આ કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. એવી રીતે અલગ અલગ રમતો અને લોકોની રમત પ્રત્યે રુચિ વધે એ રીતે મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ પગલા લેવામાં આવી રહ્યા છે. આ માટે અમદાવાદમાં ચાર ક્રિકેટના ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
આવી જ રીતે ક્રિકેટની સાથે સાથે લોકો ફૂટબોલ પ્રત્યે રુચિ કેળવે એ રીતે પૂર્વ ઝોનની અંદર પૂર્વ પટ્ટાની અંદર વસ્ત્રાલ ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યુ છે અને તેની બાજુમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે, જે ફૂટબોલ ગ્રાઉન્ડની અંદર મુવેબલ પોલ માટેના બે કોટ રાખવામાં આવ્યા છે.
સમગ્ર ગ્રાઉન્ડને આપણે વાત કરીએ તો, સ્પ્રિંકલની મદદથી ત્યાં આગળ લોન ઉગાડવામાં આવી છે અને બાજુમાં સિન્ગલ ટ્રેક દોડી શકાય એ માટેનું આયોજન છે આમ ક્રિકેટની સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સમાં અમદાવાદ-ગુજરાતના યુવાનો આગળ વધે અને દેશના પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે 'ફિટ ઇન્ડિયા' એ અનુસાર યુવાનો રમત-ગમતના મેદાનમાં પોતાનો પરસેવો પાડે અને ભારતમાં પોતાનું યોગદાન નોંધાવે એ માટે ફૂટબોલ ગ્રાઉન્ડ વસ્ત્રાલ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે.'
11.68 લાખ લોકોએ ઈન્ટરનેશનલ ફ્લાવર શૉની મુલાકાત લીધી
AMC દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શૉ ખુલ્લો મૂક્યો હતો. આ વખતે 11,68,000 જેટલા મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.
ફ્લાવર શૉની ટિકિટ, સ્પોન્સર અને સ્ટોલ હરાજી જેવા માધ્યમથી અમદાવાદ કોર્પોરેશનને લગભઘ 13.50 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. ખાસ કરીને લોકોની હેપ્પીનેસ ઇન્ડેક્સ વધે એટલે AMC દ્વારા કાંકરિયા કાર્નિવલ, ફૂડ ફેસ્ટિવલ અને ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે.'
