Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારમાં 35 વર્ષ પહેલા એક યુવતીની હત્યા કર્યા બાદ ખાળ કુવામાં દાટી દેવામાં આવી હતી. જે બાબતે પોલીસે ખાળ કુવો ખોદીને મૃતદેહના અવશેષો મેળવીને આરોપીઓને ઝડપી લીધા હતા.પરંતુ તે ફરઝાના હત્યા કેસમાં વૈજ્ઞાનિક પુરાવો મેળવવામાં પોલીસે મોટી સફળતા હાંસિલ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે કેસ સોલ્વ કર્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૃતક યુવતી ફરઝાનાના અવશેષોને ભાઈના ડિએનએ સાથે મેચ કરવામાં આવ્યા હતા. જેમાં ડિએનએ મેચ થયા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને 2 આરોપીઓની અટકાયત કરી હતી.જોકે, આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સૌપ્રથમ વાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મૃતકનો ચહેરો તૈયાર કર્યો છે.
AIની મદદથી મૃતકનો ચહેરો બનાવ્યો
પોલીસ દ્વારા સ્કેચ આર્ટિસ્ટની મદદ લઈને સ્કેચ તૈયાર કરવામાં આવતો હોય છે. પરંતુ પોલીસે આ વખતે મૃતક યુવતીના પરિજનો અને આરોપીઓએ કરેલા વર્ણનને આધારે એઆઈની મદદ લઈને ફરઝાનાનો ચહેરો તૈયાર કર્યો છે.
35 વર્ષ અગાઉ મહિલાની હત્યા
ગુનાની વિગતો મુજબ, વર્ષ 1992માં વટવા વિસ્તારના કુતુબનગરમાં પતિ અને બીજા 4 આરોપીઓએ ફરઝાના નામની યુવતીની હત્યા કરી હતી. તેમજ કુતુબનગરમાં એક મકાનમાં 20 ફૂટ ઉંડા ખાડામાં મૃતદેહ દાટી દીધો હતો.
પોલીસે આ મામલે કેસને ઉકેલી દીધો હતો. પરંતુ પોલીસ પાસે મૃતકનો કોઈ ફોટો કે માહિતી નહોતી. પોલીસે હાર માની નહીં, આરોપી અને પરિવારજનો પાસેથી મૃતકની માહિતી મેળવીને AIની મદદથી ફોટોગ્રાફ બનાવ્યો હતો. મૃતકનો ફોટો જોતા જ પરિવારજનો ભાવુક બની ગયા હતા.
