TMKOC: અસિત મોદીનો કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah ) છેલ્લા 17 વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. સોની સબ ચેનલ પર આવતી આ કૉમેડી સીરિયલ આજે પણ TRP રેટિંગમાં નંબર 1 પર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નવા એક્ટર્સ TMKOCમાં જોડાયા છે, તો કેટલાક મોટા સ્ટાર્સ શોને અલવિદા કહી ચૂક્યા છે.આમ છતાં આ સીરિયલની લોકપ્રિયતામાં જરા પણ આંચ નથી આવી. એવામાં તારક મહેતા સીરિયલમાં અંજલી મહેતાનું પાત્ર પણ લોકોને ખૂબ જ ગમતું હતુ.
TMKOCમાં પહેલા તારક મહેતાની પત્ની અંજલી મહેતાની ભૂમિકા નેહા મહેતા ભજવતી હતી. જો કે તેણે અધવચ્ચે શૉ છોડી દીધો હતો. હવે નેહા મહેતાએ શૉમાં પરત ફરવા અંગે મોટી વાત કહી છે.
હકીકતમાં એક ઈન્ટર્વ્યૂમાં નેહા મહેતાને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે તારક મહેતા સીરિયલમાં તમારા કો-સ્ટાર્સને મિસ કરો છે. જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, તેઓ મારા દિલમાં છે. જ્યારે નેહા મહેતાને TMKOC શૉમાં પરત ફરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો તેના જવાબમાં અભિનેત્રીએ જણાવ્યું કે, આસિત મોદી સર કહેશે, તો હું તેમના માટે કામ કરીશ. મને પણ કમબેક કરીને આનંદ થશે. હું ઑડિયન્સ માટે બધું જ કરી છૂટીશ. મારા દર્શકો જો કહેશે કે, તમે ફરીથી અંજલિ મહેતા બનો, તો હું બની જઈશ. આમ તો હું અંજલિ મહેતા છું જ.
જણાવી દઈએ કે, નેહા મહેતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ શરૂ થઈ ત્યારથી સતત 12 વર્ષ સુધી અંજલિ મહેતા બનીને દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડ્યું હતુ. જો કે 2020માં અચાનક નેહાએ TMKOC શૉને છોડી દીધો હતો.
અગાઉ નેહા મહેતાએ એક ઈન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, શૉ છોડ્યા બાદ મને છેલ્લા 6 મહિનાનું પેમેન્ટ પણ નથી મળ્યું. આ મામલે મેં અનેક વખત આસિત મોદીને ફોન પણ કર્યો હતો. મને વારંવાર ફરિયાદ કરવું ગમતું નથી, પરંતુ આશા રાખું છું કે મને ઝડપથી મારું પેન્ડિંગ પેમેન્ટ મળી જશે.
