The Taj Story: પરેશ રાવલની (Paresh Rawal) આગામી ફિલ્મ 'ધી તાજ સ્ટોરી' રિલીઝ થયા પહેલા જ વિવાદોમાં સપડાઈ ગઈ છે. હકીકતમાં આ ફિલ્મનું મૉશન પોસ્ટર સામે આવ્યું છે, જેમાં તાજ મહેલના ગુંબજમાંથી શિવની પ્રતિમા પ્રકટ થતી દર્શાવવામાં આવી છે. જેને લઈને કેટલાક લોકો આ ફિલ્મ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. જો કે વિવાદ વકરતો જોઈને ફિલ્મના મેકર્સ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ ફિલ્મનું મોશન પોસ્ટર સામે આવતા જ સોશિયલ મીડિયામાં તેનો ઉગ્ર વિરોધ થવા લાગ્યો છે. જેને જોઈને એવું લાગે છે કે, આ ફિલ્મ રિલીઝ થશે કે કેમ? માત્ર ફિલ્મનો જ નહીં, પરંતુ ફિલ્મના અભિનેતા પરેશ રાવલને પણ સોશિયલ મીડિયામાં લોકો ગાળો ભાંડી રહ્યા છે. જે બાદ પરેશ રાવલે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
વિવાદ વકરતો જોઈને પરેશ રાવલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી ફિલ્મનું પોસ્ટર ડિલિટ કરી દીધુ અને ફિલ્મ મેકર્સ દ્વારા જારી કરવામાં આવેલુ સત્તાવાર નિવેદન શેર કર્યું છે.
'ધી તાજ સ્ટોરી'ના મેકર્સ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ ફિલ્મનો હેતું કોઈની પણ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. આ ફિલ્મ કોઈ પણ મંદિર કે ધાર્મિક સ્થળના અસ્તિત્વનો દાવો નથી કરતી. આ માત્ર ઐતિહાસિક તથ્યો પર આધારિત છે. આથી મહેરબાની કરીને ફિલ્મ જુઓ અને પછી પોતાનો અભિપ્રાય આપો.
— Paresh Rawal (@SirPareshRawal) September 29, 2025
આ ફિલ્મનું પોસ્ટ જારી થયા બાદ સોશિયલ મીડિયામાં ફિલ્મને લઈને આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે, મેકર્સ એક વિવાદિત અને ઐતિહાસિક દ્રષ્ટિએ સિદ્ધ ના થયેલા દાવાને પુરાવાર કરવા માંગે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તાજમહેલ એક પ્રાચીન હિન્દુ મંદિરની જગ્યા પર બન્યું છે. છેલ્લા ઘણાં વર્ષોથી કેટલાક સંગઠનો આ દાવો કરતા આવ્યા છે, પરંતુ હજુ સુધી તેના કોઈ સત્તાવાર પુરાવા નથી મળ્યા.
જણાવી દઈએ કે, તુષાર અમરીશ ગોયલના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'ધી તાજ સ્ટોરી'માં પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આગામી 31 ઓક્ટોબર 2015ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
