Pankaj Dheer Death: સિનેમા જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું મુંબઈ ખાતે નિધન થયું છે. તેમણે 68 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. પંકજ ધીરના નિધનના સમાચાર સામે આવતા જ સિનેમા જગતમાં શોક છવાઈ ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
કેન્સરને કારણે પંકજ ધીરનું નિધન
સમાચારો અનુસાર અભિનેતા લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. કેન્સરને કારણે તેમની તબિયત ખૂબ જ ખરાબ ચાલી રહી હતી. સારવાર છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો. પંકજ ધીરના અંતિમ સંસ્કાર આજે સાંજે 4:30 કલાકે મુંબઈના વિલે પાર્લેમાં પવન હંસ નજીક કરવામાં આવશે.
'મહાભારત'ના કર્ણ તરીકે હતા લોકપ્રિય
પંકજ ધીરને હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે ટીવી અને ફિલ્મો બંનેમાં કામ કર્યું હતું. તેઓ ખાસ કરીને નિર્દેશક બી આર ચોપરાની 'મહાભારત'માં કર્ણની આઇકોનિક ભૂમિકા ભજવવા માટે ખૂબ જ લોકપ્રિય હતા. અભિનેતા પંકજ ધીર CINTAA (સિન્ટા)ના ભૂતપૂર્વ મહાસચિવ પણ રહી ચૂક્યા છે.
અર્જુનનો રોલ ભજવનાર મિત્રએ કરી પુષ્ટિ
મીડિયા અહેવાલો મુજબ 'મહાભારત' ટીવી શોમાં અર્જુનની ભૂમિકા ભજવનાર અભિનેતા ફિરોઝ ખાને પણ પંકજ ધીરના મૃત્યુની પુષ્ટિ કરી છે. પંકજ અને ફિરોઝ વાસ્તવિક જીવનમાં ખૂબ જ સારા મિત્રો હતા. ફિરોઝ ખાને પોતાના મિત્રના નિધનના દુઃખમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે અલવિદા મારા મિત્ર અમે તમને ખૂબ યાદ કરીશું.
