Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં છેલ્લા ઘણા વર્ષોથી એક જ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે 'પોપટલાલના લગ્ન ક્યારે થશે?' શોમાં અત્યારે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને જયપુરમાં લગ્નનું આયોજન છે, ત્યારે ફેન્સમાં ભારે ઉત્તેજના છે. જોકે, ઓનસ્ક્રીન ભલે પોપટલાલ કુંવારા હોય, પણ રીયલ લાઈફમાં તેઓ એક સુખી પરિણીત વ્યક્તિ છે.
CA નો અભ્યાસ છોડી બન્યા અભિનેતા
આ પણ વાંચો
શ્યામ પાઠકનું આખું નામ શ્યામ નવનીતભાઈ પાઠક છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ અભિનયમાં આવતા પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવા માંગતા હતા અને 'ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા'માં અભ્યાસ કરતા હતા. પરંતુ અભિનયના શોખને કારણે તેમણે અભ્યાસ અધવચ્ચે છોડી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માં એડમિશન લીધું હતું.
NSD માં પાંગરી લવ સ્ટોરી
શ્યામ પાઠકની લવ સ્ટોરીમાં NSD નો મહત્વનો રોલ રહ્યો છે. અહીં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત રેશમી સાથે થઈ હતી. રેશમી પણ તેમની સાથે જ અભ્યાસ કરતી હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.
પરિવારની વિરુદ્ધ જઈને કર્યા લગ્ન
શ્યામ અને રેશમીની લવ સ્ટોરીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પરિવાર તેમના લગ્ન માટે તૈયાર નહોતો. પરંતુ એકબીજા પ્રત્યેના પ્રેમને કારણે બંનેએ પરિવાર વિરુદ્ધ જવાનો નિર્ણય લીધો. 1 જૂન, 2003 ના રોજ તેમણે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. નવાઈની વાત એ છે કે આ લગ્નમાં બંનેના પરિવારમાંથી કોઈ પણ સભ્ય હાજર રહ્યું નહોતું.
22 વર્ષનું સુખી લગ્નજીવન અને 3 સંતાનો
આજે શ્યામ પાઠક અને રેશમીના લગ્નને 22 વર્ષ પૂર્ણ થયા છે અને તેઓ ખૂબ જ ખુશ છે. તેમને ત્રણ સંતાનો છે – એક પુત્રી નિયતિ અને બે પુત્રો પાર્થ તથા શિવમ. સોશિયલ મીડિયા પર અવારનવાર શ્યામ પાઠક પોતાના પરિવાર સાથેની તસવીરો શેર કરતા રહે છે, જેમાં તેમનું બોન્ડિંગ સ્પષ્ટ દેખાય છે.
