Ikkis: ધર્મેન્દ્રએ તેમના કરિયરમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને છ દાયકાથી વધુ સમય સુધી હિન્દી સિનેમા પર રાજ કર્યું . જોકે, તેમની એક ફિલ્મ તે સમયે બ્લોકબસ્ટર તો હતી જ, પણ આજની પેઢીને પણ તેના ડાયલોગ મોઢે છે, તે ફિલ્મ છે- શોલે. શોલેએ ભારતીય સિનેમાને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઓળખ અપાવી હતી. આ અભિનેતાનું 24 નવેમ્બરના રોજ 89 વર્ષની વયે અવસાન થયું, અને તેમની અંતિમ ફિલ્મ ઇક્કિસનું પોસ્ટર પણ તે જ દિવસે રિલીઝ થયું.
50 વર્ષ પછી પણ આવી જ લાગણીઓ અનુભવાશે
રસપ્રદ વાત એ છે કે તેમની છેલ્લી ફિલ્મ, ઇક્કિસ, શોલે (Sholay) સાથે ખાસ ઇમોશનલ કનેક્શન ધરાવે છે. શોલે 1975માં રિલીઝ થઈ હતી, અને ઇક્કિસ 2025માં રિલીઝ થવા જઈ રહી છે , બરાબર 50 વર્ષ પછી. બંને ફિલ્મો વચ્ચેનો ઇમોશનલ કનેક્શનનો એક અનોખો અનુભવ આપશે.
શોલે અને ઇક્કિસ વચ્ચે શું છે ખાસ કનેક્શન?
આપણે બધા શોલેની વાર્તા જાણીએ છીએ. જય અને વીરુ વચ્ચેની મિત્રતાને હજુ આજે પણ લોકો એક ઉદાહરણિય ગણાવે છે. સાથે મળીને, તેઓ ઠાકુરનો બદલો લેવા માટે ગબ્બરનો સામનો કરે છે. જોકે, આ લડાઈમાં એક સમયે જય (અમિતાભ બચ્ચન દ્વારા ભજવાયેલ) મૃત્યુ પામે છે, જેનાથી વીરુ (ધર્મેન્દ્ર દ્વારા ભજવાયેલ) ખૂબ જ દુઃખી થઈ જાય છે.
ફિલ્મ ઇક્કિસની વાત કરીએ તો તે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની વાર્તા કહે છે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બસંતરના યુદ્ધ દરમિયાન 21 વર્ષની ઉંમરે શહીદ થયા હતા. તેમને મરણોત્તર પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા, જેનાથી તેઓ તે સમયે ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન મેળવનારા સૌથી નાની ઉંમરના વ્યક્તિ બન્યા હતા.
ઇક્કિસની વાર્તામાં શું છુપાયેલું છે ?
ઇક્કિસ ફિલ્મમાં પણ આ જ ભાવનાત્મક થીમ છે. અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અરુણ ખેત્રપાલનું પાત્ર ભજવી રહ્યો છે, જેની વાર્તા દુ:ખદ રીતે સમાપ્ત થાય છે. ધર્મેન્દ્ર બ્રિગેડિયર ખેત્રપાલનું પાત્ર ભજવે છે, જે 21 વર્ષના યુદ્ધ નાયકના પિતા છે જે પોતાના પુત્રને ગુમાવે છે. તેવી જ રીતે શોલેમાં જય અને ઇક્કિસમાં અરુણ ખેત્રપાલ બંને પોતાની ફરજો બજાવતા મૃત્યુ પામે છે. બંને ફિલ્મોમાં ધર્મેન્દ્રનું બ્રેકડાઉન એક સમાંતર અનુભવ પેદા કરશે. એ પણ એક સંયોગ છે કે શોલે ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું મોત નિપજે છે જ્યારે આ ફિલ્મમાં, તેમની ત્રીજી પેઢી, અગસ્ત્ય શહીદ થશે.
ફિલ્મ ઈક્કિસના પોસ્ટરની જાહેરાતમાં પ્રોડક્શન હાઉસે લખ્યું છે- પિતા પુત્રોનો ઉછેર કરે છે. લેજેન્ડ્સ દેશને આગળ લઈ જાય છે. ધર્મેન્દ્રજી એક 21 વર્ષના અમર સૈનિકના પિતા તરીકે ઈમોશનલ પાવરહાઉસ છે. ફિલ્મ ઇક્કિસ 25 ડિસેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
