Arun Govil on Ranbir Kapoor Ram look: નિતેશ તિવારીની મોસ્ટ અવેઈટેડ પૌરાણિક ફિલ્મ 'રામાયણ' ના ટીઝર સાથે ભગવાન રામ તરીકે રણબીર કપૂરનો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો. આ લૂકની ઘણી ચર્ચા થઈ, પરંતુ કેટલાક લોકો ભગવાન રામના રોલ માટે રણબીરની પસંદગીથી સહમત ન હતા અને તેને લઈને વિવાદ પણ થયો હતો.
ભગવાન રામ તરીકે રણબીર કપૂરની પસંદગી
હવે રામાનંદ સાગરની 'રામાયણ'માં ભગવાન રામનું પ્રખ્યાત પાત્ર ભજવનાર દિગ્ગજ કલાકાર અરુણ ગોવિલે ભગવાન રામના રોલ માટે રણબીર કપૂરની પસંદગી પર પોતાનો મત રજૂ કર્યો છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં, અરુણ ગોવિલે રણબીર કપૂરને ભગવાન રામના પાત્રમાં કાસ્ટ કરવા અંગે થતી આલોચના વિશે ખુલીને વાત કરી હતી.
"ભગવાન રામ તરીકે મારો અભિનય માપદંડ હતો"
અરુણ ગોવિલે કહ્યું કે, વર્ષોથી તેમણે ભજવેલું પાત્ર એક ઉદાહરણ (બેન્ચમાર્ક) બની ગયું છે અને દર્શકો સામાન્ય રીતે બદલાવને સરળતાથી સ્વીકારી શકતા નથી. વધુમાં તેમણે ઉમેર્યું, "ભગવાન રામ તરીકે મારો અભિનય એક માપદંડ બની ગયો છે, અને તે આજે પણ લોકોના દિલ અને દિમાગમાં જીવંત છે.
"બીજા કોઈને રામ તરીકે જોવા નથી માંગતા લોકો"
અરુણ ગોવિલે વધુમાં ઉમેર્યું કે, "કોઈ પણ વ્યક્તિ બીજા કોઈને રામના રૂપમાં જોવા નથી માંગતા" આજે પણ ઉત્તર અને મધ્ય ભારતમાં જ્યારે મેળા કે નાટકો થાય છે અને રામની તસવીરો વેચાય છે, ત્યારે તેના પર અરુણ ગોવિલનો જ ચહેરો જોવા મળે છે.
રણબીર કપૂર વિશે અરુણ ગોવિલે શું કહ્યું?
રણબીર કપૂરના ભગવાન રામ લુક વિશે અરુણ ગોવિલે સ્પષ્ટ કર્યું કે, કોઈ બીજા એક્ટરના અભિનય પર ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ રણબીર એક સારા એક્ટર અને સારા માણસ છે, તેમાં કોઈ શંકા નથી. તેમણે કહ્યું, "દરેક કલાકાર દરેક પાત્રને પોતાની રીતે ભજવે છે અને તેમણે પણ ભગવાન રામનું પાત્ર પોતાની જ અનોખી શૈલીમાં ભજવ્યું હશે."
આ પણ વાંચો: TMKOC: OTT પર પણ 'તારક મહેતા'નો દબદબો; રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'ને પછાડી મેળવ્યું ટોચનું સ્થાન
નવી 'રામાયણ' અને અરુણ ગોવિલની ભૂમિકા
વર્ષ 1987-88 માં દૂરદર્શન પર પ્રસારિત થયેલ રામાનંદ સાગરની 'રામાયણ'નો સાંસ્કૃતિક પ્રભાવ એટલો ઊંડો રહ્યો છે કે દર્શકો અરુણ ગોવિલ અને સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાની પૂજા કરતા હતા. હવે નિતેશ તિવારીની આગામી 'રામાયણ' બે ભાગમાં બની રહી છે.
આ ફિલ્મમાં રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણના રોલમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે, અરુણ ગોવિલ આ નવી ફિલ્મમાં રાજા દશરથનું પાત્ર ભજવી રહ્યા છે. નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત 'રામાયણ પાર્ટ વન' ઓક્ટોબર 2026 માં અને બીજો ભાગ 2027 માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
