Laalo Krishna Sada Sahaayate: લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે ગુજરાતી ફિલ્મે કમાણીની દૃષ્ટિએ 100 કરોડનો આંકડો વટાવી દીધો છે, જેના કારણે તેની આખી ટીમ પર અભિનંદનોનો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા હિતેન કુમારે પણ લાલો ફિલ્મની ટીમને દિલથી અભિનંદન પાઠવ્યા છે.
જાણો લાલો વિશે હિતેન કુમારે શું કહ્યું?
હિતેન કુમારે જણાવ્યું હતું કે, “માત્ર ગુજરાતમાં જ નહીં, આખા વિશ્વમાં ચારેય દિશામાં આજે એક જ ફિલ્મની ચર્ચા છે, જેણે દરેક ભાષાના ફિલ્મ મેકર્સનું પણ ધ્યાન ખેંચી લીધું છે. લાલોની ટીમને અભિનંદન આપવામાં હું કદાચ થોડો મોડો પડી ગયો, કારણ કે હું વિદેશમાં હતો. મને માત્ર બે દિવસ પહેલા આ ફિલ્મ જોવાનો મોકો મળ્યો. મેં આખી ટીમને ફોન કરીને પાઠવેલા અભિનંદનો તો પહોંચી જ ગયા હશે. લાલોને સફળતમ સફળ ફિલ્મ કહી શકાય. આપણા ગામડાઓની વાતોને આ રીતે ઉજાગર કરીશું તો આના કરતાં પણ વધારે કમાણી કરીશું. આસ્થા અને શ્રદ્ધાની વાતને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. દરેક અભિનેતાએ શાનદાર અભિનય કર્યો છે. આપણે બીજાની નકલ નહીં, પોતાની મૌલિક ફિલ્મો બનાવીએ તો જ આવું થશે. લાલોની સમગ્ર ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન!”
લાલો ફિલ્મની વાર્તા
સામાન્ય માણસનું અલૌકિક માર્ગદર્શનફિલ્મની વાર્તા એક સામાન્ય રિક્ષાચાલક લાલો (કરણ જોશી)ની આસપાસ ફરે છે, જે પોતાના ભૂતકાળના પાપો, દુઃખ અને જીવનની મુશ્કેલીઓથી પીડિત છે. લાલોનું જીવન એક પ્રમાણભૂત માણસનું જ છે – પરીવાર, વ્યસનની સમસ્યાઓ અને આર્થિક તંગીઓ વચ્ચે ઝઝૂમતું. તેની પત્ની તુલસી (રીવા રાચ્છ) તેના સાથે ઊભી રહીને પણ વ્યસન અને અન્યયોની સમસ્યાઓથી ત્રસ્ત છે. આ કહાણી દર્શાવે છે કે 'વ્યક્તિ ખરાબ નથી હોતો, સમય ખરાબ હોય' અને સંબંધોમાં શરૂઆતના પ્રેમને યાદ રાખીને આગળ વધવું જરૂરી છે. અવાવરૂ જગ્યાએ બંધ ઘરમાં ફસાયેલા લાલાને ભગવાન કેવી રીતે બહાર કાઢે છે અને લાલાની ગેરહાજરીમાં પરીવારની શું હાલત થાય છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.
લાલોની ટીમ હજું પ્રમોશનમાં વ્યસ્ત છે. લાલો ફિલ્મ હજુ પણ થિયેટરમાં ચાલી રહી છે. ખાસ કરીને વિદેશમાં લાલોનો ક્રેઝ વધી રહ્યો છે.
