Chaitra Navratri 2026 Gujarati Calendar (ચૈત્ર નવરાત્રી કેલેન્ડર 2026): હિન્દુ ધર્મમાં શક્તિની ઉપાસનાના મહાપર્વ સમાન ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. વર્ષ 2026 માં આ પાવન પર્વનો પ્રારંભ 19 માર્ચથી થશે, જે 27 માર્ચ સુધી ચાલશે. આ નવ દિવસો દરમિયાન ભક્તો માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની ભક્તિભાવથી આરાધના કરશે. ઉલ્લેખનીય છે કે, ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી જ હિન્દુ નવવર્ષનો પણ પ્રારંભ થાય છે, જેને મહારાષ્ટ્રમાં 'ગુડી પડવો' અને અન્ય રાજ્યોમાં વિવિધ નામોથી ઉજવવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રી 2026 તારીખ
નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપના અથવા ઘટસ્થાપનનું અનેરું મહત્વ છે. પંચાંગ અનુસાર, ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 19 માર્ચ, 2026 ના રોજ સવારે 06:52 વાગ્યે શરૂ થશે અને 20 માર્ચ, 2026 ના રોજ સવારે 04:52 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર, ચૈત્ર નવરાત્રીની શરૂઆત 19 માર્ચથી થશે.
ઘટસ્થાપન માટેનું શુભ મુહૂર્ત
- સવારનું મુહૂર્ત: 06:52 AM થી 08:06 AM (સમયગાળો: 1 કલાક 13 મિનિટ)
- અભિજિત મુહૂર્ત: 12:23 PM થી 01:12 PM (સમયગાળો: 48 મિનિટ)
જ્યોતિષીઓના મતે, સવારે 06:45 થી 08:06 વાગ્યા સુધી દ્વિ-સ્વભાવ મીન લગ્ન હોવાથી આ સમય ઘટસ્થાપન માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રી 2026 ગુજરાતી કેલેન્ડર
આ નવરાત્રીને 'વસંત નવરાત્રી' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભક્તોની સુવિધા માટે અહીં નવ દિવસનું સંપૂર્ણ કેલેન્ડર આપવામાં આવ્યું છે:
- 19 માર્ચ, 2026 (ગુરુવાર): પ્રતિપદા - ઘટસ્થાપન, મા શૈલપુત્રી પૂજા
- 20 માર્ચ, 2026 (શુક્રવાર): દ્વિતિયા - મા બ્રહ્મચારિણી પૂજા
- 21 માર્ચ, 2026 (શનિવાર): તૃતીયા - મા ચંદ્રઘંટા પૂજા
- 22 માર્ચ, 2026 (રવિવાર): ચતુર્થી - મા કુષ્માંડા પૂજા
- 23 માર્ચ, 2026 (સોમવાર): પંચમી - મા સ્કંદમાતા પૂજા
- 24 માર્ચ, 2026 (મંગળવાર): ષષ્ઠી - મા કાત્યાયની પૂજા
- 25 માર્ચ, 2026 (બુધવાર): સપ્તમી - મા કાલરાત્રી પૂજા
- 26 માર્ચ, 2026 (ગુરુવાર): અષ્ટમી - મા મહાગૌરી પૂજા, દુર્ગા અષ્ટમી, કન્યા પૂજન
- 27 માર્ચ, 2026 (શુક્રવાર): નવમી - મા સિદ્ધિદાત્રી પૂજા, રામ નવમી
ચૈત્ર નવરાત્રી પૂજા સામગ્રી
પૂજા માટે આંબાના પાન, તાજા ફૂલો, પંચામૃત, સોપારી, નારિયેળ, કંકુ, પાંચ પ્રકારના ફળ, કપૂર, જનોઈ, ધૂપ-દીવો અને નૈવેદ્ય.
ચૈત્ર નવરાત્રી પૂજા વિધિ
- શાસ્ત્રોક્ત વિધિ મુજબ, નવરાત્રીના પ્રથમ દિવસે ઘરના ઉત્તર-પૂર્વ ખૂણા (ઈશાન કોણ) માં પવિત્ર માટી અથવા ધાતુના કળશની સ્થાપના કરવી જોઈએ.
- સૌપ્રથમ પૂજા સ્થાનને સાફ કરી ગંગાજળ છાંટીને શુદ્ધ કરો. એક બાજોઠ (ચૌકી) પર લાલ કપડું પાથરો.
- માટીના પાત્રમાં માટી નાખીને તેમાં જવ વાવો. આ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે.
- તાંબાના કળશમાં પાણી ભરી, તેમાં સિક્કો, સોપારી, અક્ષત અને દૂર્વા નાખો. કળશના મુખ પર આસોપાલવ કે આંબાના પાંચ પાન મૂકી તેના પર લાલ કપડામાં લપેટેલું શ્રીફળ (નારિયેળ) પધરાવો.
- કળશ અને માતાજીની મૂર્તિની સ્થાપના કર્યા બાદ દીવો પ્રગટાવી, પંચામૃત, ફળ, ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરી માતાની આરતી કરો.
