Sugar Price Drop India: આગામી તહેવારોની સીઝન પહેલાં દેશના સામાન્ય ગ્રાહકો માટે ખાંડના ભાવને લઈને મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. તાજેતરના ઊંચા સ્તરની સરખામણીએ ખાંડના છૂટક ભાવમાં આશરે 10 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. ભાવ ઘટાડાની સાથે જ કેન્દ્ર સરકારે મોટા જથ્થાબંધ ગ્રાહકો અને ઔદ્યોગિક એકમો માટે ખાંડનો સ્ટોક રાખવાની મર્યાદા 15 દિવસથી વધારીને 30 દિવસ સુધી લંબાવી દીધી છે. જોકે, આ વધારાના 15 દિવસના સ્ટોક માટે સરકારે એક મહત્વપૂર્ણ શરત પણ જાહેર કરી છે.
પ્રતિ કિલો ₹6.50 ની રાહત
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના આંકડા અનુસાર, ઓગસ્ટ મહિનામાં દેશમાં ખાંડનો છૂટક ભાવ વધીને પ્રતિ કિલોગ્રામ આશરે ₹65 સુધી પહોંચી ગયો હતો. સરકારી હસ્તક્ષેપ અને બજારના પરિબળોને કારણે હવે તેમાં 10 ટકાનો ઘટાડો થયો છે, જેથી ભાવ ઘટીને ₹58.50 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયા છે. આનાથી ગ્રાહકોને પ્રતિ કિલો આશરે ₹6.50 ની સીધી રાહત મળી છે. બીજી તરફ, મિલ સ્તરે (એક્સ-મિલ ભાવ) ખાંડના ભાવમાં 25 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. સરકારે જથ્થાબંધ અને છૂટક વેપારીઓને મિલ ભાવમાં થયેલા આ ઘટાડાનો પૂરેપૂરો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અનુરોધ કર્યો છે.
સ્ટોક મર્યાદા વધારીને 30 દિવસ કરાઈ
તહેવારો દરમિયાન ખાંડની માગમાં થનારા સંભવિત વધારાને ધ્યાનમાં રાખીને સરકારે મોટા ગ્રાહકો માટે સ્ટોક નિયમો સુધાર્યા છે. દર મહિને 10 ટનથી વધુ ખાંડનો કાચા માલ તરીકે ઉપયોગ કરતી કંપનીઓ જેવી કે મીઠાઈ ઉત્પાદકો, કન્ફેક્શનરી, બિસ્કિટ નિર્માતાઓ અને સોફ્ટ ડ્રિંક કંપનીઓ હવે 30 દિવસના વપરાશ જેટલો સ્ટોક રાખી શકશે. અગાઉ આ મર્યાદા માત્ર 15 દિવસની હતી.
આયાતી ખાંડ માટે જ વધારાનો સ્ટોક માન્ય
સરકારે સ્પષ્ટ કર્યું છે કે 30 દિવસની મર્યાદામાં વધારાના 15 દિવસનો સ્ટોક માત્ર આયાતી ખાંડ (Imported Sugar) નો જ હોવો જોઈએ. આ આયાત 'એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ' (AAS) અથવા 'ટેરિફ રેટ ક્વોટા' (TRQ) હેઠળ થયેલી હોવી જોઈએ. સ્થાનિક બજારમાંથી ખરીદેલી ખાંડ માટે સ્ટોક મર્યાદા અગાઉની જેમ 15 દિવસની જ રહેશે. આ ઉપરાંત, સંગ્રહખોરી અટકાવવા માટે મોટા ગ્રાહકોએ દર શુક્રવારે સરકારી ઓનલાઈન પોર્ટલ પર પોતાના સ્ટોકની વિગતો અપડેટ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.
