Japan Bans Indian Mango:આશરે 20 વર્ષના લાંબા ગાળા બાદ જાપાન(Japan)ને ભારતમાંથી આયાત થતી કેરી (Mangoes) પર પ્રતિબંધ મુક્યો છે. જાપાનના અધિકારીઓએ ભારતની કીટ નિયંત્રણ પ્રક્રિયામાં ખામી હોવાના તારણના આધારે આ નિર્ણય લીધો છે. આ સંજોગોમાં ગરમીની સિઝનમાં ભારતીય કેરીઓની નિકાસને ફટકો લાગ્યો છે.
જાપાને મુકેલા પ્રતિબંધની અસર અલ્ફાંસો, કેસર, લંગડા અને બંગનાપલ્લી જેવી પ્રીમિયમ કેટેગરીની ગણાતી ભારતીય કેરીઓની જાતોને અસર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ જાપાને ફળની માખીઓના જોખમને ટાંકી વર્ષ 2006માં ભારતની કેરીઓ પર પ્રતિબંધ મુક્યો હતો.
જાપાનનું કહેવું છે કે તે કૃષિ સંબંધિત સુરક્ષાને લઈ ખુબ જ કડક છે અને ફળ માખી જેવા કીટકોની બાબતમાં બિલકુલ બાંધછોડ કરવા તૈયાર નથી. માટે આયાત પર થતા ફલોની તપાસ ખૂબ જ કડક પ્રક્રિયાથી કરવામાં આવે છે.
તપાસમાં શું જાણવા મળ્યું
દર વર્ષે કેરીની નિકાસ સિઝન અગાઉ જાપાનના અધિકારીઓ ભારતના વેપર હિટ ટ્રીટમેન્ટ એટલે કે VHT કેન્દ્રોનુ નિરીક્ષણ કરે છે. આ કેન્દ્રો પર કેરીઓને ગરમ અને ભેજવાળી હવાની નિયંત્રિત પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેથી કીટક અને તેના લાર્વા ખતમ થઈ જાય.
આ વર્ષ માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશના રહમાનપુર સ્થિત VHT કેન્દ્રનું નિરીક્ષણ કરવામાં આવે છે. અહેવાલ પ્રમાણે જાપાનના અધિકારીઓને ધૂમ્રીકરણ અને કીટાણુશોધન પ્રક્રિયામાં કેટલી ઉણપ મળી. જોકે બન્ને દેશની સરકારોએ ટેકનોલોજીને લગતી ખામીઓને લગતી પૂરી માહિતી જાહેર કરી નથી.
નિરીક્ષણ બાદ જાપાનની યોકોહામા પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશને જાહેરાત કરી છે કે 25 માર્ચ 2026 બાદ જાહેર કરાયેલ નિરીક્ષણ પ્રમાણપત્ર ધરાવતી ભારતીય કેરીઓ સ્વીકારવામાં આવશે નહીં.
નિકાસકર્તા અને ખેડૂતોને ઝાટકો
જાપાન ભારતનું સૌથી મોટા કેરી બજારો પૈકીનું એક બજાર છે અને ભારતીય કેરીની જાતોને ઊંચી કિંમતો મળે છે. માટે નિકાસકર્તાઓનું કહેવું છે કે આ નિર્ણય આર્થિક રીતે મોટું નુકસાન કરી શકે છે.ભારત દર વર્ષે આશરે 2.8 કરોડ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન કરે છે અને વિશ્વના સૌથી મોટા કેરી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત છે.
