Ayushman Card Free Limit: સ્વાસ્થ્ય દરેક વ્યક્તિના જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. જો કોઈ વ્યક્તિની તબીયત લથડી જાય, તો સારવારમાં જંગી રકમ ખર્ચાઈ જતી હોય છે. આવી સ્થિતિમાં ઘણાં લોકો પહેલાથી જ હેલ્થ ઈન્સ્યોરન્સ લઈ લેતા હોય છે. જેથી બીમારી સમયે ખિસ્સા પર વધારે ભાર ના પડે અને તેમનું બજેટ ના બગડે. જો કે દરેક જણ પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવાના પૈસા નથી હોતા. આવા લોકો માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. જે અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારને દર વર્ષે રૂ. 5 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળી શકે છે.
સારવાર કરાવતા પહેલા કંઈ બાબતોનું ધ્યાન રાખશો?
આયુષ્માન કાર્ડ એક્ટિવ હોવું જરૂરી: સારવાર પહેલા એક વખત ચેત કરી લો, કે તમારું આયુષ્માન કાર્ડ એક્ટિવ છે. એક્ટિવ કાર્ડ વિના તમે આ યોજનાનો લાભ નહીં લઈ શકો.
હોસ્પિટલ: સારવાર કરાવતા પહેલા નક્કી કરી લો કે, તમારી હોસ્પિટલ આયુષ્માન યોજનામાં રજિસ્ટર્ડ થયેલી છે કે કેમ?
બીમારી પેકેજમાં છે કે કેમ?: તમે જે બીમારીની સારવાર કરાવી રહ્યા છો, તે આયુષ્માન યોજનાના પેકેજમાં સામેલ છે કે કેમ? તે જાણકારી એક વખત અચૂક ચેક કરીને મેળવી લેવી જોઈએ. જેના માટે તમે યોજનાની સત્તાવાર વેબસાઈટ કે નજીકના આયુષ્માન મિત્ર પાસેથી માહિતી મેળવી શકો છો.
એક વ્યક્તિ કેટલીવાર સારવાર કરાવી શકે Ayushman Card Free Limit
આયુષ્માન ભારત યોજનામાં 5 લાખ રૂપિયા સુધીની લિમિટ સમગ્ર પરિવાર માટે હોય છે, કોઈ એક વ્યક્તિ માટે નહીં. દા.ત. જો કોઈ પરિવારના 4 સભ્યો હોય, તો ચારેય મળીને રૂ. 5 લાખ સુધીની સારવાર કરાવી શકે છે. સૌથી અગત્યની વાત એ છે કે, એક વ્યક્તિ કેટલીવાર સારવાર કરાવી શકે, તેને લઈ હજુ કોઈ નિયમ નથી બનાવવામાં આવ્યો. શરત માત્ર એટલી જ છે કે, પરિવારનો કુલ સારવાર ખર્ચ વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધારે ના હોય. એક વખત રૂ. 5 લાખની લિમિટ પુરી થઈ જાય, પછી સારવાર માટે ચાર્જ ચૂકવવો પડે છે.
મોબાઈલથી આયુષ્માન કેવી રીતે ડાઉનલોડ કરશો?
તમે તમારું આયુષ્મા ભારત કાર્ડ તમારા મોબાઈલની મદદથી સરળતાથી નિકાળી શકો છો. આ માટે તમારે સત્તાવાર PMJAY વેબસાઈટ beneficiary.nha.gov.in પર જવાનું રહેશે. અથવા તો આયુષ્માન ભારત એપનો ઉપયોગ કરવો પડશે. અહીં તમારે તમારો આધાર નંબર અથવા પરિવારના IDથી લોગ ઈન કરવું પડશે. જે બાદ જરૂરી વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરશો, તે સાથે જ તમે તમારું આયુષ્માન કાર્ડ PDF ફૉર્મેટમાં ડાઉનલોડ કરી શકશો.
જણાવી દઈએ કે, આયુષ્માન ભારત યોજના દેશના કરોડો ગરીબ અને જરૂરિયાતમંદો માટે વરદાનરૂપ છે. જો તમે પણ આ યોજનાને લાયક હોવ, તો તેના નિયમોને વ્યવસ્થિત સમજીને તેનો પુરેપુરો લાભ ઉઠાવી શકો છો અને જરૂર પડ્યે કોઈ ડર વિના હોસ્પિટલમાં સારવાર મેળવી શકો છો.
