Dasha Mata Vrat Katha: ગુજરાતમાં અષાઢ વદ અમાસ (દિવાસો)ના પવિત્ર દિવસથી 10 દિવસીય દશામા વ્રતનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પરિવારની સુખાકારી, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે આ વ્રત પૂરા નિયમ અને ભક્તિભાવથી કરે છે. એવી પ્રબળ માન્યતા છે કે દશામા પોતાના ભક્તોની માઠું દશા દૂર કરી સુખ અને શાંતિ પ્રદાન કરે છે. દશામા વ્રત દરમિયાન દશામાની કથા વાંચવી અને સાંભળવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ચાલો વાંચીએ દશામાની પવિત્ર વ્રત કથા, જે સાંભળવાથી માતાજી પ્રસન્ન થાય છે.
દશામા વ્રત કથા 2026 | Dasha Mata Vrat Katha Gujarati
શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી. આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પૂજા કરતી હતી.
નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ. દાસીને કહ્યું, "જા આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો?"
દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, "બહેનો ! તમે કયું વ્રત કરો છો ?" એક બહેન બોલી, "અમે દશામાનું વ્રત કરીએ છીએ."
"એ વ્રતની વિધિ મને કહો!" ત્યારે બીજી સ્ત્રી બોલી, "દસ સૂતરના તાંતણા લેવા, તેને દશ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો, એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દશ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણું ભોજન કરવું."
દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે, "હું દશામાનું વ્રત કરું?" ત્યારે રાજાએ પૂછ્યું કે, "દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે?" ત્યારે રાણીએ કહ્યું કે, "નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ, શાંતિ અને સંતોષ મળે. આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે." ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલ્યા કે, "મારે ધન, દોલત, રાજપાટ, હાથી-ઘોડા, પુત્ર પરિવાર બધું જ છે. મારે ત્યાં કશી જ કમી નથી. તેથી વ્રત કરવું નથી." આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો. એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ.
આ બાજુ રાજા ઉપર દશામા કોપાયમાન થયાં. રાત્રે દશામા આવી તેમના આખા રાજમહેલમાં ફરી વળ્યાં. આથી સવારમાં રાજ્યમાં અંધાધુંધ થવા માંડી. તિજોરીમાં એકેય પૈસો ન મળે. કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ ન મળે. આ બધી વાત આખા નગરમાં ફેલાતાં પ્રજાજનો કહેવા લાગ્યા, "હે રાજા! તમે નગર છોડી ચાલ્યા જાવ. તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે. તેથી તમારા માથે ખરાબ દશા બેઠી છે."
આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા. નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો. ત્યારે રાણી કહે છે કે, "આપણી દશા ખરાબ છે. તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે. માટે અહીંથી ચાલી નીકળો." રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા, "અમને તો ભૂખ લાગી છે" પણ રાણી તેમને સમજાવીને રાખે છે. એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતાં તે બંને કુંવરને લઈ બહેનપણીને ઘરે જઈને કહે છે કે, "જરા બંને બાળકોને ખાવા આપને. આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે." ત્યારે તેની બહેનપણીએ રાણીને કહે છે કે, "જા જા હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે?" આથી રાણીને ઘણું જ દુ:ખ થયું.
અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યાં. રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલામાં વાવ આવતાં રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો દશામાએ અદૃશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા. આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે, "આપણાં બંને બાળકો વાવમાં પડી ગયાં" આથી રાજા કહે છે કે, "કલ્પાંત ન કરશો એ તો જેના હતા તેને લઈ લીધા છે."
ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યાં. એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે, "આ તો મારી બહેનનું ગામ છે. તેને મળ્યા વગર કેમ જવાય?" ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે, "તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે." ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ. નહિતર મારા ભાઈ હાથી, ઘોડા, પાલખી સાથે આવે. ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ. તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકળું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું.
પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકળું સાપ બની ગયું. ત્યારે રાજા વિચારે છે કે, "માં જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય, ચોક્કસ મારી દશાનું પરિણામ છે." તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યાં.
આગળ જતાં એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયાં હતાં. રાણીએ કહ્યું કે, "ભાઈ! અમને એક તરબૂચ ખાવા આપો તો સારું." ખેડૂતને દયા આવી. તેણે રાણીને તરબૂચ આપ્યું, પણ રાજા-રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયાં. ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો. તેથી તેના સૈનિકો કુંવરને ખોળતાં ખોળતાં ત્યાં આવ્યાં.
હવે રાજા-રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા, તે તેમની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકો રાજા-રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો. પછી તેમને દોરડાંથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. પછી ત્યાંના રાજાએ પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધાં.
આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતાં રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું. તેથી માતાજી રૂઠ્યાં છે. માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો.
રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળું હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી. અને સગવડતા પણ કરાવી. ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું. વ્રતના જ ઉજવણા વખતે દશ મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી. પોતે પણ પ્રસાદ લીધો. પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો. તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો.
પછી રાજાને દશામા સ્વપ્નમાં આવ્યાં અને કહ્યું, "હે રાજા! જેમને તે જેલમાં પૂર્યા છે, તે તારા કરતાં મોટા રાજ્યના રાજા છે. તેમણે તારા પુત્રની હત્યા કરી નથી, પરંતુ તારો પુત્ર આવશે. માટે તું જેલમાં પૂરાયેલા રાજા-રાણીને છોડી તેમની ક્ષમા માગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે." એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયાં.
રાજાને પછી ઊંઘ આવી નહીં. તેથી તેણે સવારે વહેલા ઊઠીને પોતાના સ્વપ્નની વાત સર્વેને કહી સંભળાવી. એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું. પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું. તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા-રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માગી. તેમને રાજમહેલમાં લાવીને તેમનો સારો આદર-સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી.
આથી રાજા-રાણીએ તે રાજાની રજા માગી. રાજાએ હર્ષ સાથે હાથી, ઘોડા, રથ, નોકર-ચાકર વગેરે આપ્યાં. રાજા-રાણી ત્યાંથી રથમાં નીકળ્યાં. પોતાના રાજ્યમાં આવતાં રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું.
રાજા વિચારે છે કે, "લાગે હવે માટલું કાઢી જોઉં." માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકળું જોયું. માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યાં. એમ કરતાં તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયાં હતાં ત્યાં આવ્યાં. ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે? તેમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યાં અને બૂમ પાડી કહ્યું, "કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યાં છે. તેને લેતા જાવ."
રાજાએ રથ ઊભો રાખ્યો. તેઓ પોતાના બંને પુત્રોને ઓળખી ગયાં અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા.
આ ડોશી દશામા પોતે હતાં. રાજાને કહે કે, "હવે તમારી દશા વળતી થઈ છે. તમે તમારી રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિષે ગમે તેમ બોલ્યાં હતાં. તેથી તમારી દશા કઠિન બની ગઈ હતી. હવે તમને સમજાયું હશે કે કોઈ દેવ-દેવીની અવગણના કરવી નહીં. જાવ, હવે તમે રાજ્યમાં સુખેથી રહો."
બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનપણીના ઘર પાસે આવ્યાં, જેણે તેમનું અપમાન કર્યું હતું. તે બહાર ઊભી હતી. તે દોડી અને રાણીને ભેટી પડી, રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલો પણ ન આપ્યો. અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામું છે. એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ.
રાજાના આગમનની ખબર પડતાં સર્વ નગરજનો વાજતે-ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા. દશામાના પ્રતાપે રાજા સુખી થયાં. રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢણી જળમાં પધરાવી, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. માતાના પ્રતાપથી સુખ, શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યાં.
જય દશામા! જેવા રાજા-રાણીને ફળ્યાં, તેવા સર્વેને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાંચનાર સર્વેની દશા સુધારજો. સુખ, સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો.
