Aja Ekadashi 2026 Date and Time: હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુની ઉપાસના માટે એકાદશી તિથિનું અત્યંત વિશેષ મહત્વ છે. વર્ષમાં આવતી કુલ 24 એકાદશીઓ પૈકી ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને 'અજા એકાદશી' તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિના તમામ પાપકર્મો નષ્ટ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ચાલો જાણીએ વર્ષ 2026 માં અજા એકાદશીની તિથિ, પારણનો સમય અને પૂજાની સાચી રીત.
અજા એકાદશી 2026 તારીખ
હિંદુ પંચાંગ અનુસાર, વર્ષ 2026માં ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 6 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 7:29 વાગ્યે થશે અને તેનું સમાપન 7 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 5:03 વાગ્યે થશે. હિંદુ ધર્મમાં વ્રત અને તહેવારોની ઉજવણી માટે ઉદયા તિથિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ નિયમ અનુસાર, અજા એકાદશીનું વ્રત 7 સપ્ટેમ્બર, સોમવારના રોજ રાખવામાં આવશે.
એકાદશી વ્રતનું પારણ ક્યારે કરવું?
કોઈપણ એકાદશી વ્રતની પૂર્ણતા યોગ્ય સમયે પારણું (વ્રત ખોલવું) કરવાથી થાય છે. અજા એકાદશી વ્રતના પારણાનો શુભ સમય 8 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 6:24 વાગ્યાથી 8:53 વાગ્યા સુધી રહેશે. જ્યારે દ્વાદશી તિથિનું સમાપન 8 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:42 વાગ્યે થશે.
અજા એકાદશી પૂજા-વિધિ
ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે અજા એકાદશીના દિવસે નીચે મુજબની વિધિથી પૂજા કરવી જોઈએ:
- સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો.
- પ્રભુ શ્રીહરિનું ધ્યાન ધરીને એકાદશીના વ્રત અને પૂજાનો સંકલ્પ લો.
- ઘરના પૂજાસ્થળે એક બાજઠ અથવા પાટલા પર ભગવાન વિષ્ણુની પ્રતિમા કે તસવીર સ્થાપિત કરો.
- ભગવાન વિષ્ણુને પીળાં વસ્ત્ર, પીળાં ફૂલ, ચંદન, અક્ષત, તુલસીના પાન, ઋતુફળ અને નૈવેદ્ય અર્પણ કરો.
- ગાયના ઘીનો દીવો પ્રગટાવીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
- અંતમાં વિધિપૂર્વક આરતી કરો અને બીજા દિવસે દ્વાદશી તિથિએ શુભ મુહૂર્તમાં વ્રતનું પારણ કરો.
અજા એકાદશીનું ધાર્મિક મહત્વ
પૌરાણિક માન્યતાઓ અનુસાર, અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને પૂર્વજન્મના કર્મો અને પાપોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન શ્રીહરિની સાથે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવી પણ અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવાથી પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે અને જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.
