Ahmedabad Demolition News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામોને કાર્યવાહી કરીને દૂર કરવામાં આવી રહ્યા છે. થોડાક દિવસ પહેલાં ચંડોળામાં રહેતાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો સહિત અન્ય ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આજે તંત્ર દ્વારા રખિયાલમાં ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વનું છે કે, ગેરકાયદે નમાઝની જગ્યા સહિત 20 કારખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવ્યું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના રખિયાલમાં આજે વહેલી સવારથી જ ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદે કરેલાં બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અહીં ગેરકાયદે નમાઝની જગ્યા સહિત 20 કારખાના-દુકાનો પર બુલડોઝર ફર્યું છે. આ ઉપરાંત અહીંથી ગેરકાયદે વીજ કનેક્શન પણ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં આ સ્થળ પર તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
