Dhaniya Panjiri Recipe: જન્માષ્ટમીના પાવન તહેવાર પર ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ધરાવવા માટે અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાં ધાણા પંજરી એક લોકપ્રિય પ્રસાદ છે. ધાણાની સુગંધ, મખાણાની કરકરી ટેક્સચર અને ડ્રાયફ્રૂટ્સનો સ્વાદ પંજરીને વધુ ખાસ બનાવે છે. જો તમે આ વખતે બજારમાંથી તૈયાર પંજરી લાવવાને બદલે ઘરે જ કાન્હાજી માટે પ્રસાદ બનાવવા માંગતા હો, તો આ સરળ રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો છો.
ધાણા પંજરી બનાવવા માટેની સામગ્રી
- ધાણા પાઉડર – 1 કપ
- મખાણા – 1 કપ
- મિશ્રીનો ભૂકો – ¾ કપ
- દેશી ઘી – 4 ચમચી
- બદામ – ¼ કપ
- કાજુ – ¼ કપ
- પિસ્તા – 2 ચમચી
- સૂકું નાળિયેર – ¼ કપ
- મગજના બી – 2 ચમચી
- એલચી પાઉડર – ½ ચમચી
ધાણા પંજરી બનાવવાની રીત
સૌ પ્રથમ મખાણાને નાના ટુકડામાં કરી લો. એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરીને મખાણાને ધીમા તાપે શેકો. મખાણા કરકરા થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો.
હવે એ જ કડાઈમાં બદામ, કાજુ, પિસ્તા અને મગજના બી નાખીને હળવા શેકી લો. ત્યારબાદ સૂકું નાળિયેર ઉમેરીને થોડું શેકો. બધી સામગ્રીને વધારે શેકવાની જરૂર નથી.
હવે કડાઈમાં બાકીનું ઘી ઉમેરો અને તેમાં ધાણા પાઉડર નાખો. ધીમા તાપે સતત હલાવતા રહો. ધાણા પાઉડરમાંથી સુગંધ આવવા લાગે અને તેનો કાચો સ્વાદ દૂર થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.
શેકેલું ધાણા મિશ્રણ થોડું ઠંડું થવા દો. ત્યારબાદ તેમાં શેકેલા મખાણા અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. હવે એલચી પાઉડર નાખીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
છેલ્લે મિશ્રીનો ભૂકો ઉમેરો અને ફરીથી બરાબર મિક્સ કરી લો. પંજરી તૈયાર છે.
કાન્હાજીને ધાણા પંજરીનો ભોગ કેવી રીતે ધરાવવો?
જન્માષ્ટમીની પૂજા માટે પંજરીને સ્વચ્છ વાટકીમાં કાઢી લો. તેના ઉપર થોડા મખાણા, કાજુ અને પિસ્તાથી સજાવી શકો છો. ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ધરાવ્યા બાદ પરિવારના સભ્યોને પ્રસાદ તરીકે પીરસો.
ધાણા પંજરીને પરફેક્ટ બનાવવા માટેની ટિપ્સ
- ધાણા પાઉડરને શેકતી વખતે ગેસ ધીમો રાખવો સૌથી જરૂરી છે. વધારે તાપે ધાણા બળી જશે તો પંજરીનો સ્વાદ કડવો થઈ શકે છે.
- મખાણા અને ડ્રાયફ્રૂટ્સને અલગથી શેકવાથી તેમાં સારી કરકરીનેસ આવે છે. સાથે જ મિશ્રી અથવા ખાંડ હંમેશા શેકેલું મિશ્રણ થોડું ઠંડું થયા પછી જ ઉમેરવી.
- પંજરી સંપૂર્ણ ઠંડી થઈ જાય પછી તેને એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી શકાય છે.
