IPL 2025 News: IPL 2025 શરૂ થવામાં હજુ ઘણો સમય છે, પરંતુ તે પહેલા જ મોટા ફેરફારો થતા જોવા મળી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સનના મુખ્ય કોચ આશિષ નેહરા ટીમથી અલગ થઈ શકે છે. માનવામાં આવે છે કે ટીમના માલિક સીવીસી કેપિટલ્સ IPL 2025 માટે મેગા ઓક્શન પહેલા કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવાનું નક્કી કરી શકે છે. જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ક્રિકબઝના જણાવ્યા અનુસાર, ગુજરાત ટાઇટન્સ મેનેજમેન્ટ આગામી સિઝન માટે કોચિંગ સ્ટાફ બદલવાની વિચારણા કરી રહ્યું છે. ટીમના ક્રિકેટ ડાયરેક્ટર વિક્રમ સોલંકી, મુખ્ય કોચ આશિષ નેહરા અને ગેરી કર્સ્ટન, જે પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન આ ટીમના મેન્ટર અને બેટિંગ કોચ હતા, હવે તેમનું પત્તુ કપાઇ શકે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. ગેરી કર્સ્ટન પાકિસ્તાન ટીમના કોચ બન્યા છે. હવે મુખ્ય કોચ આશિષ નેહરા પર તલવાર લટકી રહી છે.
કોચિંગ સ્ટાફ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ મેનેજમેન્ટમાં પણ ફેરફાર થતો જોવા મળી શકે છે. એવી અટકળો છે કે આ ટીમની માલિકી સીવીસી પાસેથી ટોરેન્ટ ફાર્મા અથવા અદાણી ગ્રુપ પાસે જઈ શકે છે. જો કે, આ વાતની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. BCCI ખેલાડીઓને રિટેન કરવા અંગે પણ મોટો નિર્ણય લઈ શકે છે.
Cricbuzz અનુસાર, BCCI રાઈટ ટુ મેચ સહિત 6 ખેલાડીઓની રીટેન્શન લિસ્ટમાં વધારો કરવા પર વિચારણા કરી રહ્યું છે, પરંતુ બોર્ડ મેગા ઓક્શનને રદ કરવાના પક્ષમાં નથી. મેગા ઓક્શનને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, કારણ કે કેટલીક ટીમોનું માનવું છે કે મેગા ઓક્શનને કારણે તેમને તેમની બનેલી ટીમ ગુમાવવી પડશે.
