Sanju Samson Statement on Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચમાં શાનદાર બેટિંગ કરીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. માત્ર 22 બોલમાં 57 રનની વિસ્ફોટક ઇનિંગ રમ્યા બાદ સેમસને બહાર ચાલતી ટીકાઓ અને 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી સાથેની કથિત સ્પર્ધા વિશે ખુલીને વાત કરી હતી. પ્રથમ મેચમાં માત્ર 10 રન બનાવ્યા બાદ સેમસન પર દબાણ હતું, પરંતુ બીજી મેચમાં તેણે 259.09 ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને પોતાની ઉપયોગિતા સાબિત કરી છે.
બહારની વાતોની અસર થાય છે, અમે રોબોટ નથી: સેમસન
મેચ બાદ વાતચીત કરતા સેમસને સ્વીકાર્યું હતું કે બહારની વાતો અને ટીકાઓની ખેલાડીઓ પર અસર થાય છે. સેમસને કહ્યું, "હું વાઈફાઈ (Wi-Fi) બંધ રાખવાનો પ્રયાસ કરું છું, પરંતુ ક્યારેક વાઈફાઈ ચાલુ થઈ જાય છે અને કોમેન્ટ્સ દેખાઈ જાય છે. કોઈ સીનિયર ખેલાડી કંઈક કહી દે છે, તેથી આ બહુ સામાન્ય વાત છે."
તેણે આગળ ઉમેર્યું, "હું કોઈ મશીન નથી અને અમે રોબોટ નથી કે કહી શકીએ કે અમારા પર આની કોઈ અસર નથી થતી. ચોક્કસપણે તેની અસર થાય છે. પહેલા મને થોડું ખરાબ લાગતું હતું, પરંતુ હવે હું આ બધું સંભાળવા જેટલો પરિપક્વ અને અનુભવી થઈ ગયો છું. જો હું એ વાતો પર ધ્યાન આપું તો આવી બેટિંગ ન કરી શકું. શોટ રમતા પહેલા 10 વાર વિચારવું પડે કે જો આઉટ થઈ જઈશ તો ફરી વાઈફાઈની સમસ્યા થશે! તેથી હું મારી જાતને કહું છું કે 'કોઈ વાંધો નહીં'."
ટીમમાં ઓપનિંગ સ્લોટ માટે સ્પર્ધા
T20I ટીમમાં ઓપનિંગ સ્લોટ માટે સંજુ સેમસનની જગ્યા પર સવાલો ઉઠી રહ્યા હતા. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીના આગમનથી અભિષેક શર્મા સાથે ઓપનિંગ સ્લોટ માટે સ્પર્ધા વધી ગઈ છે. વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં ઝિમ્બાબ્વે પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં મળેલી તકોનો લાભ ન ઉઠાવી શકવાના કારણે સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
'અમે એક ટીમ છીએ, કોઈ પ્રતિદ્વંદ્વી નથી'
વૈભવ સૂર્યવંશી સાથેની સ્પર્ધા અંગે સેમસને સ્પષ્ટ કર્યું કે, "બહારની દુનિયા માટે સૂર્યવંશી અને અભિષેક શર્મા સ્પર્ધક હોઈ શકે છે, પરંતુ ડ્રેસિંગ રૂમમાં અમે એક ટીમ છીએ અને દેશ માટે રમી રહ્યા છીએ. અમારા માટે સૌથી પહેલા મેચ જીતવી મહત્વની છે, બાકી બધું પછી આવે છે."
IPL માં કેપ્ટનશીપનો અનુભવ કામ લાગ્યો
સેમસને જણાવ્યું કે IPL માં કેપ્ટન તરીકેના અનુભવે તેને સિલેક્શનના કઠિન નિર્ણયો સમજવામાં મદદ કરી છે. તેણે કહ્યું કે મેનેજમેન્ટ માટે સારા પ્રદર્શન કરતા ખેલાડીઓમાંથી કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ કામ છે. ખેલાડીઓએ સિલેક્શન અંગે વિચારવાને બદલે મળતી તકો માટે તૈયાર રહેવું જોઈએ. આપણે એવું નકારાત્મક ન વિચારી શકીએ કે 'મને તક કેમ ન મળી અને તેને કેમ આપી'. આવી સોચ અહીં કામ નથી આવતી.
