Sai Sudarshan Injury: સાઈ સુદર્શનને પાંસળીમાં ફ્રેક્ચર, મહિનાઓ સુધી મેદાનથી બહાર રહેશે; જાણો IPL રમી શકશે કે નહિ

સાઈ સુદર્શન અમદાવાદમાં તમિલનાડુ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાયેલી વિજય હઝારે ટ્રોફી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. ડાઈવ લગાવીને રન કરતી વખતે તેની જમણી બાજુની પાંસળીમાં ફ્રેક્ચર થયું હતુ

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 03 Jan 2026 08:05 AM (IST)Updated: Sat 03 Jan 2026 08:05 AM (IST)
sai-sudharsan-miss-ranji-trophy-after-rib-fracture-ipl-2026-667106

Sai Sudarshan Injury: ભારતીય યુવા બેટ્સમેન સાઈ સુદર્શન હાલમાં જ અમદાવાદમાં તમિલનાડુ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાયેલી વિજય હઝારે ટ્રોફી મેચ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મેચ દરમિયાન ડાઈવ લગાવીને રન કરતી વખતે તેની જમણી બાજુની સાતમી પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું. આ ઈજાને કારણે તે એક મહિનાથી વધુ સમય સુધી મેદાનથી બહાર રહી શકે છે. ઉલ્લેખનીય છે કે તેને ટૂર્નામેન્ટના શરૂઆતના તબક્કામાં નેટ સેશન દરમિયાન પણ તે જ જગ્યાએ ઈજા થઈ હતી.

સાઈ સુદર્શનને પાંસળીમાં ફ્રેક્ચર
સૂત્રોના જણાવ્યા અનુસાર સુદર્શને 29 ડિસેમ્બરે બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સલન્સમાં રિપોર્ટ કર્યો હતો, જ્યાં સ્કેન રિપોર્ટમાં હળવા ફ્રેક્ચરની પુષ્ટિ થઈ છે. આ પ્રકારની ઈજાને સંપૂર્ણપણે ઠીક થવામાં સામાન્ય રીતે છ થી આઠ અઠવાડિયા જેટલો સમય લાગે છે. હાલમાં સુદર્શન તેના શરીરના નીચેના ભાગની મજબૂતી અને કન્ડિશનિંગ પર કામ કરી રહ્યો છે અને ઈજાગ્રસ્ત પાંસળીની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આગામી 7 થી 10 દિવસમાં તેના શરીરના ઉપરના ભાગની ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે.

આઈપીએલમાં રમશે કે નહિ
આ ઈજાને કારણે સુદર્શન માટે તમિલનાડુ તરફથી બાકીની મેચો રમવી મુશ્કેલ છે. જોકે ગુજરાત ટાઇટન્સના ચાહકો માટે સારા સમાચાર એ છે કે તેની IPL માં રમવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. સુદર્શન હાલમાં ભારતની સફેદ બોલની ટીમનો હિસ્સો નથી, તેથી તેની પાસે રિકવરી માટે પૂરતો સમય છે.

ઈજાની સાથે સુદર્શન માટે તેનું તાજેતરનું ફોર્મ પણ ચિંતાનો વિષય છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, જ્યાં તે તેની છેલ્લી 11 ઇનિંગ્સમાંથી 9 ઇનિંગ્સમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. આ લાંબો બ્રેક તેને પોતાની રમત પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી શકે છે.