India Vs Pakistan Asia Cup Final: એશિયા કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાનની ટીમને 5 વિકેટે ધૂળ ચટાડીને ટીમ ઈન્ડિયાનો ભવ્ય વિજય થયો હતો. એશિયા કપમાં નવમી વખત ચેમ્પિયન બન્યાને 3 સપ્તાહ વીતી ચૂક્યા છે, છતાં હજુ સુધી વિજેતા ટ્રોફી ટીમ ઈન્ડિયાને નથી મળી શકી. એવામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીને સત્તાવાર ઈ-મેઈલ મોકલ્યો છે.
BCCIએ ઈમેઈલમાં લખ્યું છે કે, એશિયા કપ 2025ની ટ્રોફી તાત્કાલિક ટીમ ઈન્ડિયાને સોંપી દેવામાં આવે. આ વિવાદ ત્યારે શરૂ થયો હતો, જ્યારે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ જીત બાદ નકવીના હાથે ટ્રોફી લેવાનો ઈનકાર કરી દીધો હતો.
મોહસિન નકવી પાકિસ્તાન સરકારના મંત્રી પણ છે. આથી ભારતની જીત બાદ ટીમ ઈન્ડિયાએ પોસ્ટ મેચ સેરેમનીમાં નકવીના હાથે ટ્રોફી લેવાનો ઈનકાર કરી દીધો હતો. જે બાદ નકવીએ ACCના અધિકારીઓને વિજેતા ટ્રોફી પરત લઈ જવાનો આદેશ આપ્યો હતો.
આ મામલે BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, તેઓ નકવીના જવાબની રાહ જોઈ રહ્યા છે. જો નકવી તરફથી કોઈ જવાબ નહીં મળે, તો BCCI આ સમગ્ર મામલો ICC સમક્ષ ઉઠાવશે. હાલમાં એશિયા કપની ટ્રોફી દુબઈ સ્થિત ACCના કાર્યાલયમાં જ રાખવામાં આવી છે.
અગાઉ ગત મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, આ ટ્રોફી નકવીની મંજૂરી વિના કોઈને નહીં આપવામાં આવે. નકવીએ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, તેઓ જ પોતાના હાથે જ વિજેતા ટ્રોફી BCCI કે ટીમ ઈન્ડિયાને સોંપશે.
જણાવી દઈએ કે, એશિયા કપની સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન તણાવ જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડીઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાન ખેલાડીઓ સાથે હાથ પણ નહતો મિલાવ્યો. આ સિવાય મેચ દરમિયાન પણ પાકિસ્તાની ટીમના ખેલાડીઓએ ફિલ્ડિંગ દરમિયાન દર્શકો સમક્ષ તેમજ ભારતીય ખેલાડીઓને ચીડવવા માટે કેટલાક એવા ઈશારા કર્યા હતા. તેમજ મોહસિન નકવીએ પણ સોશિયલ મીડિયામાં રાજકીય નિવેદનબાજી કરી હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ કહી દીધુ હતું કે, તેઓ નકવી દ્વારા ચેમ્પિયન ટ્રોફી નહી આપવાના મુદ્દાને નવેમ્બર મહિનામાં ICC સમક્ષ ઉઠાવશે. જેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન વિરુદ્ધ કાર્યવાહીની પહેલ પણ કરવામાં આવી શકે છે. જો કે હવે એ જોવું રસપ્રદ રહેશે કે, BCCIના ઈમેઈલ પર ACC તરફથી શું જવાબ આવે છે.
