India A vs Australia A: શ્રેયસ અય્યરને હાલમાં જ ઈન્ડિયા A ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમણે ઓસ્ટ્રેલિયા A સામે પહેલી ટેસ્ટ મેચમાં કેપ્ટની કરી હતી. જો કે આ મેચ ડ્રો રહી. હવે અહેવાલો અનુસાર તે બીજી ટેસ્ટ મેચમાં કપ્તાની નહિ કરે. અંગત કારણોસર તે બીજી ટેસ્ટમાંથી તેનું નામ પાછું લેવાના છે. જો કે આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેર કરાઈ નથી.
લખનઉથી દિલ્હી પરત ફર્યો શ્રેયસ અય્યર
ક્રિકબઝના અહેવાલ અનુસાર હજી સુધી સ્પષ્ટ નથી કે શ્રેયસ અય્યરે મેચમાંથી તેનું નામ પાછું કેમ લીધું. પરંતુ આ મામલે સૂત્રોનું કહેવું છે કે 19 સપ્ટેમ્બરના રોજ લખનઉમાં મેચ સમાપ્ત થયા બાદ તે લખનઉથી મુંબઈ પરત આવી ગયો છે. અહેવાલો અનુસાર તેણે અંગત કારણોનો હવાલો આપીને બીસીસીઆઈને બીજી મેચમાં ગેરહાજરીને લઈને જાણકારી આપી દીધી છે.
કોણ કરશે ઈન્ડિયા A ટીમની કપ્તાની
હવે બીજી મેચમાં તેની ગેરહાજરીમાં ધ્રુવ જુરેલ અને રજત પાટીદાર ટીમની કપ્તાની કરી શકે છે. ધ્રુવ જુરેલ હાલ ઉપ કેપ્ટન છે. જો કે રજત પાટીદારે તેની કપ્તાનીમાં દિલીપ ટ્રોફી જીતી હતી. તે જોતા તેને ઓસ્ટ્રેલિયા સામે બીજી મેચનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
મહત્વનું છે કે પહેલી મેચ હાઈસ્કોરિંગ હોવા છતાં શ્રેયસ અય્યર ફ્લોપ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ શ્રેયસને એશિયા કપની ટીમમાં સામેલ થવાની આશા હતી, જો કે તેને ટીમમાં જગ્યા ન મળી એટલું જ નહિ રિઝર્વ ખેલાડીઓમાં પણ સ્થાન ન મળ્યું. જો કે તેના થોડા દિવસો પછી તેને ટીમ ઈન્ડિયા A ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો.
