Hardik Pandya-Mumbai Indians Controversy, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની 2 વિકેટથી હાર સાથે જ મુંબઈ ઇન્ડિયન્સ (MI) પ્લેઓફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર ફેંકાઈ ગયું છે. આ શરમજનક વિદાય બાદ તરત જ ટીમમાં આંતરિક વિખવાદની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેનું કેન્દ્રબિંદુ કેપ્ટન હાર્દિક પંડ્યાની સોશિયલ મીડિયા એક્ટિવિટી બની છે.
ઇન્સ્ટાગ્રામ પર 'અનફોલો' ની ઘટનાથી ખળભળાટ
10 મેના રોજ રમાયેલી નિર્ણાયક મેચમાં હાર્દિક પંડ્યા અનફિટ હોવાને કારણે રમી શક્યો ન હતો. ટીમની હાર બાદ સોશિયલ મીડિયા પર એવા સ્ક્રીનશોટ વાયરલ થયા હતા જેમાં હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સના સત્તાવાર એકાઉન્ટને 'અનફોલો' કર્યું હોવાનું જણાતું હતું. હાર્દિકનું 'ફોલોઇંગ' લિસ્ટ 151 થી ઘટીને 150 થઈ જતાં ચાહકો અને એક્સપર્ટ્સ વચ્ચે અણબનાવની અફવાઓ ફેલાઈ હતી. જોકે, થોડા સમય બાદ ફરીથી મુંબઈ ઇન્ડિયન્સ તેના લિસ્ટમાં દેખાયું હતું, જેનાથી આ એક ટેકનિકલ ખામી હતી કે ક્ષણિક ગુસ્સો, તે અંગે પ્રશ્નો ઉભા થયા છે.
ફિટનેસ અને ખરાબ ફોર્મનો બેવડો માર
IPL 2026 હાર્દિક પંડ્યા અને ફ્રેન્ચાઇઝી બંને માટે નિરાશાજનક રહી છે. હાર્દિક આ સીઝનમાં અત્યાર સુધી કમરના દુખાવાને કારણે 3 મેચ ગુમાવી ચૂક્યો છે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે ટીમનું સુકાન સંભાળ્યું હતું. વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, હાર્દિકે 8 મેચમાં 146 રન બનાવ્યા છે અને 4 વિકેટ ઝડપી છે. હાર્દિકના આ કથળતા ફોર્મની સીધી અસર ટીમના પ્રદર્શન પર જોવા મળી છે, જેના કારણે ટીમને પ્લેઓફની રેસમાંથી વહેલા બહાર થવું પડ્યું છે.
વિવાદો વચ્ચેની કેપ્ટનશીપ
ઉલ્લેખનીય છે કે IPL 2024 પહેલા રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય ઘણો વિવાદાસ્પદ રહ્યો હતો. રોહિતના સમર્થકો અને ચાહકોના એક મોટા વર્ગમાં આ નિર્ણય સામે હજુ પણ આક્રોશ જોવા મળે છે. હાર્દિકના દરેક નિર્ણય અને મેદાન પરના વર્તનની સોશિયલ મીડિયા પર સતત ટીકા થતી રહી છે.
