New Year 2026 Remedies: થોડા દિવસોમાં જ 2026નું આગમન થવાનું છે. એવામાં દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે, આવનારું વર્ષ વીતી ચૂકેલા વર્ષ કરતાં સારું રહે અને જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લઈને આવે. આજ કારણોસર નવા વર્ષના પ્રથમ દિવસે ઘણાં લોકો સવારે ઉઠીને પહેલું કામ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાનું કરતા હોય છે.
જો કે જ્યોતિષ શાસ્ત્રમાં પણ વર્ષના પ્રથમ દિવસને લઈને કેટલાક અચૂક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. જે અજમાવવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મી માતાનો વાસ રહે છે અને વ્યક્તિ પર દેવી અન્નપૂર્ણાની કૃપા પણ વરસતી રહે છે.
જો તમે પણ ઈચ્છો છો કે, 2026માં તમારી ધનની તિજોરી ક્યારેય ખાલી ના રહે અને રસોડામાં અન્નના ભંડાર કાયમ ભરેલા રહે, તો અહીં આપવામાં આવેલા કેટલાક સરળ ઉપાયો તમે અજમાવી શકો છો.
નવા વર્ષમાં સુખ-સમૃદ્ધિ માટે અજમાવો આ ઉપાય (New Year 2026 Remedies)
ઉંબરાની પૂજાઃ ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર ઘરમાં ખુશહાલીનો માર્ગ હોય છે. આથી નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી, 2026ના રોજ સ્નાનાદિ ક્રિયા પતાવ્યા પછી ઘરના મુખ્ય દ્વારને સાફ કરો. આ સાથે જ ઉંબરા પર હળદર અથવા સિંદૂરથી સ્વસ્તિક બનાવો. આ સાથે જ મુખ્ય દ્વાર પર આસોપાલવ કે આંબાના પાનનું તોરણ લગાવવું પણ શુભ હોય છે. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર રહે છે અને લક્ષ્મીજીનું આગમન થાય છે.
રસોડામાં આટલું કરવાથી માઁ અન્નપૂર્ણા થશે પ્રસન્નઃ વર્ષના પ્રથમ દિવસે ઘરના રસોડાની વ્યવસ્થિત સાફ-સફાઈ કરવી જોઈએ. રસોડાના ઉત્તર-પૂર્વ ખૂણામાં એક નાના કળશમાં અક્ષત અર્થાત ચોખા ભરીને રાખો. જેના ઉપર એક ચાંદીનો સિક્કો અથવા સોપારી રાખો. જેને માતા અન્નપૂર્ણાનું પ્રતિક માનવામાં આવે છે. આમ કરવાથી આખું વર્ષ ઘરમાં બરકત બની રહે છે અને ધનના ભંડાર ભરેલા રહે છે.
તિજોરીમાં આ વસ્તુ રાખજોઃ આર્થિક સંકડામણથી બચવા માટે નવા વર્ષના પ્રથમ શુક્રવારે એક લાલ કપડામાં 5 કોડી, 5 ગોમતી ચક્ર અને ચપટી કેસર બાંધીને તમારી તિજોરીમાં રાખજો. આ ઉપાય અજમાવવાથી ઘરમાં ક્યારેય ધન સબંધિત સમસ્યા નહીં થાય.
પક્ષીઓને દાણા અને ગાયને રોટલી ખવડાવોઃ હિન્દુ ધર્મમાં સેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. આથી નવા વર્ષના પ્રથમ દિવસે 7 પ્રકારના અનાજ પક્ષીઓને ખવડાવવા જોઈએ. જ્યારે પહેલી રોટલી ગોળની સાથે ગાયને ખવડાવો. આ ઉપાય તમારા ગ્રહોના અશુભ પ્રભાવને ઓછો કરે છે અને વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થાય છે.
પૂજા માટે મંત્ર અને કંઈ વાત ધ્યાનમાં રાખવી
નવા વર્ષના પ્રથમ દિવસે 'ॐ ह्रीं श्रीं लक्ष्मीभयो नमः' મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. આ સાથે કેટલીક બાબતોનું અચૂક ધ્યાન રાખવું જોઈએ. જેમ કે
- નવા વર્ષના પ્રથમ દિવસે કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉધાર પૈસા ના લો અને ના તો કોઈને ઉછીના પૈસા આપો
- 1 જાન્યુઆરી,2026ના રોજ ઘરમાં શાંતિ જાળવી રાખો. જે ઘરમાં કાયમ ઝઘડા થતાં હોય, ત્યાં લક્ષ્મીજીનો વાસ નથી થતો.
- સાંજના સમયે ઘરના ખૂણામાં અંધારૂં ના રહે તેનું ધ્યાન રાખો. ખાસ કરીને તુલસીના છોડની નજીક ઘીનો દીવો અચૂક પ્રગટાવવો જોઈએ.

