Nag Panchami 2026 Date and Time: પવિત્ર શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં ભક્તિ અને આરાધનાનો મહિનો ગણાય છે. આ માસમાં આવતા અનેક તહેવારોમાં 'નાગ પંચમી'નું વિશેષ ધાર્મિક મહત્વ છે. વર્ષ 2026 માં નાગ પંચમીનો પાવન પર્વ 01 સપ્ટેમ્બર, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને નાગ દેવતાની પૂજા કરવાથી ભક્તોને વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
નાગ પંચમી 2026: તારીખ અને શુભ મુહૂર્ત
આ પણ વાંચો
હિન્દુ પંચાંગ અનુસાર, શ્રાવણ સુદ પંચમીના દિવસે આ તહેવાર ઉજવાય છે. નાગ પંચમીનો પાવન તહેવાર 01 સપ્ટેમ્બર 2026, મંગળવારના રોજ ઉજવાશે. પંચમી તિથિ 01 સપ્ટેમ્બરના રોજ સવારે 07:41 વાગ્યે શરૂ થશે અને 02 સપ્ટેમ્બરના રોજ સવારે 06:12 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે પૂજા માટેનું શુભ મુહૂર્ત સવારે 07:41 થી 08:33 વાગ્યા સુધી રહેશે, જેમાં ભક્તોને કુલ 51 મિનિટનો શ્રેષ્ઠ સમયગાળો મળશે. જણાવી દઈએ કે, ઉત્તર ભારતમાં નાગ પંચમી 17 ઓગસ્ટ 2026, સોમવારના રોજ મનાવવામાં આવશે.
પૂજાનું મહત્વ અને કાલસર્પ દોષ નિવારણ
માન્યતાઓ અનુસાર, નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી પરિવાર પર આવતા સંકટો દૂર થાય છે અને સર્પ ભય રહેતો નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જે જાતકોની કુંડળીમાં 'કાલસર્પ દોષ' હોય, તેમના માટે આ દિવસે પૂજા કરવી અત્યંત ફળદાયી સાબિત થાય છે.
નાગ પંચમી પૂજા વિધિ
- સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
- મંદિરમાં અથવા ઘરે નાગ દેવતાની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરવી. (જો મૂર્તિ ન હોય તો લોટમાંથી નાગ બનાવી શકાય).
- નાગ દેવતાના આઠ સ્વરૂપો (અનંત, વાસુકી, પદ્મ, મહાપદ્મ, તક્ષક, કુલીર, કર્તા અને શંખ) નું સ્મરણ કરવું.
- હળદર, કંકુ, ચોખા, પુષ્પ અને દૂધ અર્પણ કરવું.
- વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિએ સાપને દૂધ પીવડાવવાને બદલે મૂર્તિ પર દૂધનો અભિષેક કરવો યોગ્ય માનવામાં આવે છે.
- વિશેષ મંત્રોચ્ચાર: 'वासुकिः तक्षकश्चैव कालियो मणिभद्रकः। ऐरावतो धृतराष्ट्रः कार्कोटकधनंजयौ॥ एतेऽभयं प्रयच्छन्ति प्राणिनां प्राणजीविनाम्॥'
નાગ પંચમી પૂજન મંત્ર
- सर्वे नागा: प्रीयन्तां मे ये केचित् पृथ्वीतले।
- ये च हेलिमरीचिस्था येन्तरे दिवि संस्थिता।।
- ये नदीषु महानागा ये सरस्वतिगामिन:।
- ये च वापीतडगेषु तेषु सर्वेषु वै नम:।।
- તમે 'ॐ नमः शिवाय' અથવા 'ॐ नागाय नमः' મંત્રનો જાપ પણ કરી શકો છો.
ધ્યાનમાં રાખવાના નિયમો (નિષેધ)
- આ દિવસે જમીન ખોદવી નહીં, જેથી નાગના દરને નુકસાન ન પહોંચે.
- સોય-દોરાનો ઉપયોગ કરવો નહીં તેમજ કાતર કે છરી જેવી તીક્ષ્ણ વસ્તુઓ વાપરવી નહીં.
- લોખંડના તવા પર રોટલી બનાવવાની પણ મનાઈ ફરમાવવામાં આવે છે.
