Sharad Purnima 2025: આજે શરદ પૂનમ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ચંદ્રને મન અને ઔષધિના દેવતા માનવામાં આવે છે. માત્ર શરદ પૂનમના દિવસે જ ચંદ્ર 16 કળાએ ખીલે છે, આ સાથે પૂર્ણ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક પણ હોય છે. એવું કહેવાય છે ચંદ્રના કિરણો તેજસ્વી હોય છે. તમે જોયું હશે કે શરદ પૂનમની રાત્રે ખુલ્લા આકાશ નીચે રાખેલા દૂધ પૌવા રાખવામાં આવે છે. તેનું પાછળનું કારણ શું છે ? ચાલો જાણીએ.
આકાશ નીચે દૂધ પૌઆ રાખવાનું કારણ
શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌઆને ચંદ્રની રોશનીમાં રાખવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વાપર યુગમાં ચાંદની રાતમાં મહારાસ કર્યો હતો. તેનાથી પ્રસન્ન થઈને ચંદ્રમાએ અમૃત વર્ષા કરી હતી. માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની સોળે કળાઓમાં ખીલી ઉઠે છે અને અમૃત વર્ષા કરે છે. આ જ કારણ છે કે શરદ પૂર્ણિમાની ચાંદની રાતમાં દૂધ પૌઆ રાખવાથી તેમાં અમૃત સમાન ગુણોનો સમાવેશ થઈ જાય છે.
આ ઉપરાંત શરદ પૂર્ણિમા એટલે કે માતા લક્ષ્મીનો જન્મોત્સવ. આ દિવસે તેમને તેમની પ્રિય ખીરનો ભોગ લગાવીને પ્રસાદના રૂપમાં ખાવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આશીર્વાદ પ્રદાન કરે છે. ચાલો જાણીએ શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌઆ ખાવાના ફાયદા.
શરદ પૂનમના દિવસે દૂધ પૌઆ ખાવાના ફાયદા
મજબૂત પાચન તંત્ર
દૂધમાં રહેલું લેક્ટોઝ અને પ્રોટીન પેટને શાંત રાખે છે. પૌઆમાં રહેલો સ્ટાર્ચ સરળતાથી પચીને કબજિયાત કે અપચો જેવી સમસ્યાઓને દૂર રાખે છે.
સારી રોગપ્રતિકારક શક્તિ
પૌઆમાં નાખવામાં આવતા સૂકા મેવા (ડ્રાય ફ્રૂટ્સ) જેમ કે બદામ, કાજુ, પિસ્તા અને કેસર રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરી શકે છે. મેવામાં રહેલા વિટામિન E, ઝિંક અને એન્ટીઑકિસડન્ટ્સ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત રાખે છે. કેસરમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ રોગો સામે લડવામાં મદદ કરે છે.
એનર્જી
પૌઆ એક હાઇ એનર્જી ફૂડ છે, જે શરીરને તરત જ ઊર્જા પ્રદાન કરે છે. બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. દૂધમાં પ્રોટીન અને ફેટ હોય છે. ખાંડ તાત્કાલિક ગ્લુકોઝ પૂરો પાડે છે, જેનાથી થાક ઓછો થાય છે.
ત્વચા અને વાળ માટે ફાયદાકારક
દૂધ અને મેવા ત્વચાને ગ્લોઇંગ (ચમકદાર) અને વાળને મજબૂત બનાવે છે. દૂધમાં હાજર કેલ્શિયમ અને પ્રોટીન ત્વચાને પોષણ આપે છે. મેવામાં રહેલા ઓમેગા-૩ ફેટી એસિડ્સ અને વિટામિન E ત્વચાને ભેજ (નમી) અને વાળને મજબૂતી આપે છે.
માનસિક સ્વાસ્થ્યમાં સુધારો
દૂધ પૌઆનું સેવન તણાવ (સ્ટ્રેસ) અને ચિંતા (એન્ઝાયટી) ઘટાડવામાં મદદ કરે છે. દૂધમાં ટ્રિપ્ટોફન (Tryptophan) નામનું એમિનો એસિડ હોય છે, જે સેરોટોનિનના ઉત્પાદનને વધારે છે. સેરોટોનિન વધવાથી મૂડ બહેતર થાય છે. કેસર પણ મૂડને સુધારવા અને ડિપ્રેશન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
