TCS Nashik Case Update: નાસિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) યુનિટમાં કથિત યૌન શોષણ અને ધર્મ પરિવર્તન કરાવવાના મામલે એક નવો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એક પીડિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા, કાર્યસ્થળ પર ધર્મનું અપમાન કર્યું અને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે ભારે દબાણ કર્યું હતું.
લગ્નની વાત છુપાવી કર્યું યૌન શોષણ
પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, આરોપીએ પીડિતાને TCS માં નોકરી અપાવવામાં મદદ કરવાનું વચન આપ્યું, અને બાદમાં બંને એક જ કંપનીમાં કામ કરતા હતા. ઓગસ્ટ 2024માં આરોપીએ એક રિસોર્ટમાં પીડિતાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
ત્યારબાદ, ફેબ્રુઆરી 2026 માં જ્યારે આરોપીની પત્નીએ પીડિતાનો સંપર્ક કર્યો, ત્યારે તેને જાણવા મળ્યું કે આરોપી પહેલાથી જ પરિણીત છે, અને તેને બે બાળકો પણ છે. આ અંગે સવાલ પૂછવામાં આવતા આરોપીએ સ્પષ્ટપણે કબૂલ્યું કે તેનો પીડિતા સાથે લગ્ન કરવાનો કોઈ જ ઈરાદો નહોતો.
ધાર્મિક અપમાન અને ધર્માંતરણનું દબાણ
પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, આરોપી તેના અન્ય બે સહકર્મીઓ સાથે કંપનીની કેન્ટીનમાં પીડિતાને અવારનવાર મળતો હતો. આ ત્રણેય લોકો વારંવાર હિન્દુ દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા. આરોપીઓએ પીડિતા પર એવું કહીને ઇસ્લામ ધર્મ અપનાવવાનું દબાણ કર્યું કે "ઇસ્લામ એક શ્રેષ્ઠ ધર્મ છે". પોલીસે FIR માં આ બંને સહકર્મીઓને પણ સહ-આરોપી તરીકે નામજદ કર્યા છે.
આ પણ વાંચો: TCS Nashik case: શારીરિક શોષણ-ધર્માંતરણનું દબાણ, પીડિતાએ કર્યા આરોપીના કૃત્યો અંગે ખુલાસા
TCS દ્વારા આંતરિક તપાસ શરૂ
આ ઘટના બાદ દેશની સૌથી મોટી આઈટી કંપની TCS દ્વારા એક મોનિટરિંગ પેનલ અને બાહ્ય સંસ્થાઓની ભાગીદારી સાથે આંતરિક તપાસની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં સંડોવાયેલ નિદા ખાન HR મેનેજર નહોતી. નાસિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિકના જણાવ્યા મુજબ, નિદા ખાન સામે ધાર્મિક સતામણીની માત્ર એક ફરિયાદ નોંધાઈ છે.
મુખ્યમંત્રી ફડણવીસનું કડક વલણ
હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નિદા ખાન ની શોધખોળ માટે થાણેના મુમ્બ્રામાં પહોંચી છે. આ મામલાની ગંભીરતા જોતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, "ધર્માંતરણ જેવી ઘટનાઓ સાંખી લેવામાં આવશે નહીં. તમામ સંભવિત પાસાઓ અને એંગલથી તપાસ કરો, કોઈ પણ છૂટવું ન જોઈએ."
