NEET Protest: ગત 20 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન કરનારા NEET વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ માટે સુપ્રીમ કોર્ટ તરફથી એક અત્યંત રાહતજનક સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ આદેશ આપતાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ FIRને રદ કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ રાહત માત્ર એવા જ લોકોને મળશે જેમનો ભૂતકાળમાં કોઈ ગંભીર ગુનાહિત રેકોર્ડ રહ્યો નથી.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ, 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા આગામી 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનાર વિરોધ માર્ચને સત્તાવાર રીતે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું વલણ
સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમિયાન ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઉપરાંત બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓના હિતમાં FIR રદ કરવા માટે અરજી દાખલ કરી છે. કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે 20 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે થયેલા આંદોલનને લઈને ભવિષ્યમાં કોઈ પણ પ્રદર્શનકારી સામે નવેસરથી કેસ નોંધવામાં આવશે નહીં.
સીજેઆઈ (CJI) સૂર્યકાન્તની અધ્યક્ષતા વાળી પીઠે સરકારના આ હકારાત્મક વલણની સરાહના કરી હતી અને બંને પક્ષો વચ્ચે પરસ્પર વિશ્વાસથી મુદ્દો ઉકેલાયો હોવાનું નોંધ્યું હતું.
CJPની પ્રતિક્રિયા અને ફેસિયલ રેકગ્નિશન પર સવાલ
CJPના નેતા દાસે કોર્ટના આદેશનું સ્વાગત કર્યું હતું, પરંતુ સાથે દિલ્હી પોલીસની કાર્યવાહી સામે સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે- દિલ્હી પોલીસ ટેકનોલોજીના આધારે વિરોધના સ્થળે 2,873 ગંભીર અપરાધીઓ હોવાનો દાવો કરી રહી હતી. જો ખરેખર આટલા અપરાધીઓ ત્યાં હાજર હતા, તો તે પોલીસ પ્રશાસન સામે મોટો પ્રશ્ન છે. આટલા સકારાત્મક આદેશ બાદ અમે ૫ સપ્ટેમ્બરનો મોર્ચો રદ કરીએ છીએ.
કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાનું નિવેદન
કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે- કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપેલા વચનને પૂરું કરી રહી છે. ભાજપ શાસિત રાજ્યો સાથે ચર્ચા-વિચારણા કરીને વિદ્યાર્થીઓ સામેના કઠોર પગલાં પાછા ખેંચવામાં આવ્યા છે.
