PM Kisan beneficiaries KCC card: દક્ષિણ ભારતીય રાજ્યોના કૃષિ મંત્રીઓની પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશના ખેડૂતોની આવક વધારવા અને કલ્યાણકારી યોજનાઓને છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવા માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (PM-Kisan) નો લાભ લેતા તમામ ખેડૂતોને ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ (KCC) સુવિધા સાથે સાંકળવામાં આવે, જેથી તેઓ સસ્તા અને પરવડે તેવા વ્યાજ દરે ખેતી માટે લોન મેળવી શકે.
કેન્દ્ર અને રાજ્યોના મજબૂત સહયોગ પર ભાર
કૃષિ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ખેડૂતો અને જમીન રાજ્યો હસ્તક છે, તેથી રાષ્ટ્રહિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એક થઈને કામ કરવું પડશે. તેમણે દરેક રાજ્યની વિશિષ્ટ કૃષિ-આબોહવાકીય પરિસ્થિતિઓ મુજબ અલગ 'રોડમેપ' તૈયાર કરવાની આવશ્યકતા દર્શાવી હતી. આ માટે 'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ' (ICAR) અને અન્ય કૃષિ સંસ્થાઓ રાજ્યોને ટેકનિકલ મદદ પૂરી પાડશે. દક્ષિણના રાજ્યો પર 'અલ નીનો' (El Niño) ની અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઓછા પાણીથી થતા પાકોને પ્રોત્સાહન આપવા અને જિલ્લા-વાર આકસ્મિક યોજનાઓ અમલી બનાવવા માટે માર્ગદર્શન આપ્યું છે.
ખેડૂતોની આવક વધારવા 6-મુદ્દાની વ્યૂહરચના
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખાદ્ય સુરક્ષા સાથે ખેડૂતોની આવક બમણી કરવાનો છે. આ માટે છ મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:
- 1) પાક ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી.
- 2) ખેતી ખર્ચમાં ઘટાડો કરવો.
- 3) પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરવા.
- 4) પાક વીમો અને પાક વૈવિધ્યકરણ (Crop Diversification).
- 5) જમીનની તંદુરસ્તીની જાળવણી.
- 6) નકલી બિયારણ અને નબળી ગુણવત્તાના જંતુનાશકો સામે કડક કાનૂની કાર્યવાહી.
આ ઉપરાંત, તુવેર, મસૂર અને અડદ જેવા કઠોળની કેન્દ્ર સરકાર દ્વારા 100% ખરીદીની ખાતરી આપવામાં આવી છે, જ્યારે અન્ય પાકોની ખરીદી 'PM-AASHA' યોજના હેઠળ થશે. સાથે જ નાળિયેરની ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજના ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
