Russia Ukraine War: રશિયામાં ડ્રોન એટેકમાં કેરળના યુવકનું મોત, ભડકેલા ભારતે કહ્યું- 'રશિયન સૈન્યમાં સામેલ ભારતીયો તાત્કાલિક મુક્ત કરો'

અન્ય એક ભારતીય યુવક ઈજાગ્રસ્ત થયો, જે મૉસ્કોની હોસ્પિટલમાં સારવાર હેઠળ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Jan 2025 10:51 PM (IST)Updated: Tue, 14 Jan 2025 10:51 PM (IST)
russia-ukraine-war-indian-man-killed-in-drone-attack
HIGHLIGHTS
  • ઈન્ડિયન એમ્બેસી બન્ને ભારતીય પરિવારોના સંપર્કમાં

Russia Ukraine War: રશિયા-યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક ભારતીય નાગરિકનું મોત થયું હોવાનું સામે આવ્યા બાદ ભડકેલા ભારતે નારાજગી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં રશિયન સૈન્યમાં ફરજ બજાવતા ભારતીયોને જેમ બને તેમ જલ્દી ફરજમુક્ત કરવા માટે કહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, કેરળના એક ભારતીય યુવકને રશિયન સેનમાં ભરતી કરવામાં આવ્યો હતો, જેનું મોત થયું છે. જ્યારે અન્ય એક ભારતીય ઈજાગ્રસ્ત થયો છે, જે મૉસ્કોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મોસ્કો સ્થિત ભારતીય એમ્બેસી બન્ને ભારતીય પરિવારોના સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ભારતીય યુવકના મૃતદેહને જેમ બને તેમ જલ્દી ભારત લાવવા માટે રશિયન અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ સિવાય ઈજાગ્રસ્ત યુવકની મુક્તિ અને ભારત વાપસી માટે માગ કરવામાં આવી છે.

આ સાથે જ ભારતે રશિયાને આગ્રહ કર્યો છે કે, રશિયન સૈન્યમાં ફરજ બજાવતા અન્ય ભારતીયોને પણ જેમ બને તેમ જલ્દી મુક્ત કરવામાં આવે. આ બાબતે મોસ્કોમાં રશિયન અધિકારીઓ અને નવી દિલ્હીમાં રશિયન એમ્બેસી સાથે ગંભીર ચર્ચા કરવામાં આવી છે. રશિયન-યૂક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકોને સામેલ કરવાને લઈને ભારત પહેલા પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે.

મૃતક યુવકની ઓળખ 32 વર્ષીય બિનિલ. ટી.બી. તરીકે થઈ છે, જે કેરળના ત્રિશૂર જિલ્લાના વડક્કંચેરીનો વતની હતી. જ્યારે ઈજાગ્રસ્ત યુવત જૈન ટી.કે (27) તરીકે થઈ છે. થોડા સમય પહેલા બિનિલના પરિવારને એક મેસેજ મળ્યો હતો કે, બન્નેને ડ્રોન એટેકમાં ઈજા પહોંચી છે.